ગુજરાત
News of Friday, 14th September 2018

રાજપથ સહિત ઘણી ક્લબોમાં નવરાત્રિ પાર્કિંગને લઇ તૈયારી

કલબના સભ્યો-મહેમાનોને પ્રવેશને લઇ મથામણ : નવરાત્રિ-તહેવાર વેળા મુલાકાતીઓને નિયંત્રિત કરવાના કારણે મેનેજમેન્ટને મોટી આવક ગુમાવવી પડે તેવી સ્થિતિ

અમદાવાદ, તા.૧૪ : હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે લીધેલાં ટ્રાફિકનાં કડક નિયંત્રણવાળાં પગલાંના કારણે શહેરની જાણીતી ક્લબોમાં પાર્કિંગના અભાવે હવે નવરાત્રીના દિવસો દરમિયાન કલબ યોજનારી ગરબાની ઇવેન્ટમાં ખુબ જ મર્યાદિત સભ્યોને પ્રવેશ આપવા બાબતે ગંભીર વિચારણા હાથ ધરાઇ છે. કર્ણાવતી-કલબ અને રાજપથ કલબ તેમના મેમ્બર્સને પ્રવેશ પાસ આપવા ઉપરાંત ગેસ્ટને કેટલા પ્રમાણમાં આમંત્રીત કરવા તે અંગે ગંભીર વિચારણા કરી રહી છે. જેને પગલે સૌપ્રથમવાર નવરાત્રિના તહેવારોમાં શહેરની રાજપથ, કર્ણાવતી જેવી કલબોમાં માત્ર કલબના સભ્યો અને તેમના મહેમાનોને જ પ્રવેશ અપાય તેવી શકયતા છે. બીજીબાજુ, આ કલબોમાં નવરાત્રિ અને તહેવારો દરમ્યાન મુલાકાતીઓ નિયંત્રિત કરવાના કારણે  કલબ મેનેજમેન્ટને મોટી આવક ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરની કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, રાયફલ ક્લબ વગેરે ક્લબોમાં પાર્કિંગની કેપેસિટી પ્રમાણે જ નવરાત્રી ઇવેન્ટ યોજાશે, જેના કારણે જેના કારણે ક્લબને સ્પોન્સર્સની આવક ગુમાવી પડે તેવી શકયતા છે. જો સ્પોન્સર્સ લેવામાં આવે તો સ્પોન્સર્સને ટિકિટો આપવી પડે, જેનું પ્રમાણ મોટું હોય છે. તો ટિકિટ આપ્યા પ્રમાણેની વ્યવસ્થા પણ કલબે કરવી પડે તેથી ક્લબો પોતાના ખર્ચે ક્લબના સભ્યો માટે જ નવરાત્રીનું આયોજન કરે તેવું પ્લાનીંગ થઇ રહ્યું છે. જેમાં પાર્કિંગના નિયમોનો ભંગ ન થાય તેની પણ કાળજી લેવાશે. કર્ણાવતી ક્લબના પ્રમુખ જયેશ મોદીના જણાવ્યા અનુસાર પાર્કિંગની સમસ્યા પર પૂરતું ધ્યાન અપાશે, તેનું ચુસ્તપણે પાલન કરાશે. પાર્કિંગની સગવડ પ્રમાણેની જ ઇવેન્ટનું આયોજન થશે. રાજપથ ક્લબ પાસે હાલમાં ૬૦૦ કારની પાર્કિંગની સુવિધા છે. ક્લબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું હતું કે ક્લબ હવે પાર્કિંગ પ્રમાણેની ઇવેન્ટ યોજશે. એક હજાર આસપાસ લોકો આવી શકે તે પ્રમાણેની ઇવેન્ટ માટે જ હવે હવે કલબ જગ્યા તે બાબતે પણ ગંભીરતાપૂર્ણ આયોજન કરવા બાબત વિચારણા થઇ રહી છે. સાથે-સાથે પાર્કિંગ માટે 'વેલે'ની સુવિધા પણ અપાશે. શહેરમાં યોજાતી ઘણી મોટી ઇવેન્ટ મોટા ભાગે કર્ણાવતી અને રાજપથમાં યોજાતી હોય છે. આ વર્ષે બંને ક્લબમાં માત્ર સભ્યો અને પરિવારને જ નવરાત્રી ઇવેન્ટમાં એન્ટ્રી અપવામાં આવશે. એક અંદાજ મુજબ રાજપથમાં ૧૪,૦૦૦ મેમ્બરશીપ છે. તેમના પરિવારને ગણતાં સભ્ય સંખ્યા મોટી થઇ શકે છે. તેથી વહેલા તે પહેલાના ધોરણે પાસની ફાળવણી થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. બંને ક્લબ વધારાના પાર્કિંગ માટે આસપાસના પ્લોટ પાર્કિંગ માટે ભાડે મેળવવા પ્રયાસ કરી રહી છે. જો કે, પાર્કિગને લઇ શહેરની કલબો મોટી મથામણ અને મંૂઝવણભરી પરિસ્થિતિમાં કોઇક માર્ગ કાઢવાના પ્રયાસોમાં વ્યસ્ત બની છે, તે વાસ્તવિકતા છે. કારણ કે, નવરાત્રિ અને તહેવારોની ઇવેન્ટોની લાખો રૃપિયાની આવક ગુમાવવું કલબ મેનેજમેન્ટને પોષાય તેમ નથી.

 

(8:18 pm IST)