ગુજરાત
News of Saturday, 15th August 2020

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

કોરોના ડેડીકેટેડેટ 1200 બેડ હોસ્પિટલ દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ: ઉત્કૃષ્ઠ કામગીરીએ ઉત્તમ સારવારનું ઉદાહરણ પૂરું પાડ્યું

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના અસ્મિતાભવન ખાતે 74મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરાઈ હતી,મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથને રાષ્‍ટ્રભકિતના માહોલમાં આન, બાન, શાન સાથે ધ્‍વજવંદન કરાવ્‍યું હતું. તેમણે કહ્યું હતું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અધતન સુવિધાયુક્ત ઉભી કરવામાં આવેલી કોરોના ડેડીકેટેડેટ 1200 બેડ હોસ્પિટલ દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ છે . આ હોસ્પિટલની ઉત્કૃષ્ઠ કામગીરીએ સમગ્ર દેશભરમાં ઉત્તમ સારવારનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

કે. કૈલાસનાથને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દિશા-નિર્દેશો તેમજ સમયાંતરે થયેલા સુધારોનું સિવિલ હોસ્પિટલ દ્વારા યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યુ હતું. તેમજ હોસ્પિટલના તબીબો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સોંપવામાં આવેલી ફરજને ખંતપૂર્વક નિભાવી હોવાનું ઉમેર્યુ હતુ.

 

કોરોનાની મહામારીની સારવાર સમગ્ર વિશ્વ માટે ટ્રાયલ અને એરર ઉપર આધારિત હતી. આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારને લગતી અનેક પહેલ કરવામાં આવી હતી. જે સમગ્ર ગુજરાત રાજ્યની અન્ય હોસ્પિટલ માટે ઉદાહરણ રૂપ બની રહી હતી તેમ કૈલાસનાથને વિશેષમાં જણાવ્યુ હતુ.

કૈલાસનાથને હોસ્પિટલની કોરોના સામેની લડત વિશે કહ્યુ કે, હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીને શ્રેષ્ઠ સારવાર આપીને તેનો જીવ બચાવવો તેમજ બીજી બાજુએ આ રોગના સંક્રમણનો ફેલાવો થતો અટકાવવો તે રીતે બે ભાગમાં વિભાજીત થયેલી છે જે બંને પરિસ્થિતિઓમાં સિવિલ મેડીસીટી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હોવાનું કહ્યુ હતુ.

સિવીલ હોસ્પિટલમાં ઉભી કરવામાં આવેલી હાઇટેક સુવિધાઓ, સી.સી.ટી.વી. કેમેરાઓના કારણે ગાંધીનગર જ નહીં પરંતુ દિલ્હી સુધી સારવાર અને વ્યવસ્થાપનનો ચિતાર મેળવવો ખૂબ જ સરળ બન્યો હતો. સિવિલ હોસ્પિટલના અધતન સુવિધાયુક્ત મોડલની પ્રસંશા કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવી હોવાનું કૈલાસનાથને ઉમેર્યુ હતુ.

74મા સ્વાતંત્ર્યપર્વની કોરોનાની મહામારી વચ્ચે ઉજવણી થઇ રહી છે. ત્યારે કોરોના સામેની લડતમાં દર્દીનારાયણની સેવા-શુશ્રુષા કરતા કરતા શહીદી વહોરનાર સિવિલના સ્ટાફ મિત્રોના પરિવારજનોનું તેમજ કોરોનાની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધી આ જંગમાં ખડેપગે સંનિષ્ઠ ફરજ બજાવનાર તેમજ યશસ્વી કામગીરી કરનાર કોરોના વોરીયર્સનું અતિથી વિશેષના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મહેસુલ વિભાગના અગ્રસચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર જે.ડી. દેસાઇ, મેડિકલ જગતના તબીબી નિષ્ણાંતો, સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ હોસ્પિટલના વડા, તબીબો, નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ખાસ ફરજ પરના અધિકારી ડૉ. એમ.એમ. પ્રભાકર, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતુ.

(6:11 pm IST)