અમરાઈવાડીમાં ટેબલ ફેનના વાયરનો કરંટ લાગતા બે માસુમ બહેનોના મોત : અરેરાટી
ટેબલ ફેન ચાલુ કરી રમતી 7 અને 8 વર્ષની બે માસુમ બાળકીઓને વાયરમાંથી કરંટ લાગ્યો
અમદાવાદ :અમરાઈવાડી વિસ્તારમાં આકાશ ગંગાનગરમાં કરુંણ ઘટના બની છે મકાનના ઉપરના માળે ટેબલ ફેન ચાલુ કરી રમતી 7 અને 8 વર્ષની બે માસુમ બાળકીઓને વાયરમાંથી કરંટ લાગતા સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઈ જવાઈ હતી. ફરજ પરના ડૉક્ટરોએ બન્ને બાળકીને મૃત જાહેર કરી હતી. બે માસુમ સગી બહેનોના મોતથી સોસાયટીમાં ગમગીની છવાઈ ગઈ હતી. વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અમરાઈવાડી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડીના આકાશ ગંગાનગરમા રહેતાં મુકેશ સોમાભાઈ રાઠોડની બે પુત્રીઓ જેમાં મોટી 8 વર્ષની ધ્રુવી અને નાની દીકરી 7 વર્ષની માહી હતી.માસુમ ધ્રુવી અને માહી બપોરે ઘરના ઉપરના માળે ટેબલ ફેન ચાલુ કરીને રમતી હતી. રમવામાં મશગુલ બન્ને માસુમનો હાથ ટેબલ ફેનના વાયરને અડ્યો હતો. એક તરફ વરસાદ ચાલુ હોવાથી અચાનક બન્ને બાળકીને વાયરમાંથી કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો હતો.
બાળકીઓ કરંટનો ઝાટકો લાગતા પટકાઈ અને અવાજ થયો હતો. જેના પગલે પરિવારજનો દોડી ગયા હતા. તત્કાળ બંને બાળકીને એલ.જી. હોસ્પિટલ લઈ ગયા હતા. ફરજ પરના ડૉકટરોએ બન્ને માસુમને મૃત જાહેર કરી હતી.
અમરાઈવાડી પોલીસે બન્ને બાળકીના મોત અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી. મૃત ધ્રુવી અને માહીની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપી હતી. પરિવારે આજે બન્ને બાળકીના અંતિમ સંસ્કાર પતાવ્યા અને મરણની અન્ય વિધિ માટે વતન જવા રવાના થયો હતો.