અમદાવાદમાં એકવાર ફરી વ્યઢંળો વચ્ચે જૂથવાદ વકર્યો : એકબીજાના જુથમાં જોડાવા થઈ રહ્યું છે દબાણ : સનમ દે એ સંજય વ્યાસ નામના શખ્સ વિરૃદ્ધ કરી પોલીસ ફરિયાદ
અમદાવાદ : શહેરમાં ફરી વ્યઢંળો વચ્ચે જૂથવાદ વકરી રહ્યો છે. જૂથ છોડીને બીજા જૂથમાં જોડાવવા માટે કિન્નરોને દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં સંજય વ્યાસ નામના શખ્સ વિરૃદ્ધ મંગળવારે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ બે વ્યઢંળોને ફોન કરી તું નિતુ દેને છોડીને કામિની દે સાથે યજમાનવૃત્તિ કરવાનું શરૃ કરી દે નહી તો છરી વડે જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
સેટેલાઈટ અને વસ્ત્રાપુર વિસ્તારમાં યજમાનવૃત્તિ કરતાં અને શાહપુર ખાતે દિલ્હી ચકલામાં નિતુ માસીના અખાડામાં રહેતાં સનમ દે સાયરા દે (ઉં,21)ને મંગળવારે સવારે 10.44 વાગ્યે મોબાઈલ પર ફોન આવ્યો હતો. ફોન રિસિવ કરતાં સામે છેડેથી હું સંજય બાબુલાલ વ્યાસ બોલું છું, અને તું કામિની દે સાતે યજમાનવૃત્તિ કરવા માટે આવી જા, નિતુ દેને છોડી દે નહી તો તને હું છરીથી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
ધમકીને પગલે સનમ દેએ તેના ગુરૂને જણાવ્યું હતું. તે સમયે સિલ્ક દેએ પણ સોમવારે તેની પર સંજયનો ફોન આવ્યાનું અને ધમકી આપ્યાનું કહ્યું હતું. બનાવને પગલે સનમ દેને તેના ગુરૂ નિતુ દેએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી ફરિયાદ નોંધાવવા માટે સુચના આપી હતી.