દેશની આઝાદી પહેલાં ગાંધીજી 5 વખત બન્યાં હતાં ભરૂચના મહેમાન
સમગ્ર દેશમાં સ્વાંતત્રય પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહયો છે. દેશની આઝાદીમાં સિંહફાળો આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભરૂચ સાથે અનેક સંસ્મરણો જોડાયેલાં છે. આઝાદીની ચળવળ પહેલાં ગાંધીજી 5 વખત ભૃગૃઋુષિની ધરા પર આવી ચુકયાં હતાં.
દેશની આઝાદી પહેલાં ગાંધીજી 5 વખત બન્યાં હતાં ભરૂચના મહેમાન
દેશના 73માં સ્વાતંત્રય પર્વની ગુરૂુવારના રોજ ઉજવણી કરવામાં આવશે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુકિત અપાવવા માટે મહાત્મા ગાંધીજી સહિત અનેક નામી અને અનામી લોકોએ તેમનો ફાળો આપ્યો હતો. દેશની આઝાદીના સંગ્રામમાં ભરૂચ જિલ્લાનું પણ મહત્વનું યોગદાન રહયું છે. મહાત્મા ગાંધીજી આઝાદીની ચળવળ દરમિયાન અનેક વખત ભરૂચની મુલાકાત લઇ ચુકયાં હતાં. 1917માં 20 અને 21 ઓકટોબરના રોજ કેળવણી પરિષદની બીજી બેઠક ગાંધીજીના પ્રમુખ સ્થાને મળી હતી.
1930માં અંગ્રેજ સરકારે મીઠા પર નાંખેલા કરના વિરોધમાં ગાંધીજીએ દાંડીકુચ કરી હતી. ગાંધીજી તેમના 78 જેટલા સાથીદારો સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી કુચની શરૂઆત કરી હતી. 22મી માર્ચના રોજ દાંડીકુચ જંબુસર ખાતે આવી હતી. તે સમયે ગાંધીજીની સાથે જવાહરલાલ નહેરૂ અને સરોજીની દેવી પણ હતાં.
ભરૂચ આવેલાં ગાંધીજી અને તેમના સાથીદારોએ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં ડૉ. ચંદુલાલ દેસાઇએ ઉતારો આપ્યો હતો. ભરૂચ જિલ્લાના 21 સત્યાગ્રહીઓની આગેવાની ડૉ. ચંદુલાલ દેસાઇએ લીધી હતી અને વેડચ ગામના ભાઠામાં જઇને મીઠુ ઉપાડયું હતું.
હવે વાત કરીએ ગાંધીજીની ભરૂચ શહેરની મુલાકાત વિશે. 1917ની સાલમાં ભરૂચના વેપારીઓએ મહાત્મા ગાંધીજીને સન્માનિત કર્યા હતાં. 1917 કેળવણી પરિષદ અને 1921માં રાજકીય પરિષદમાં મહાત્મા ગાંધીજીએ સંબોધન કર્યું હતું. 1935માં સરદાર વલ્લભાઇ પટેલની આગેવાનીમાં ભરૂચમાં મળેલી પરિષદમાં પણ ગાંધીજી હાજર રહયાં હતાં. 13 ફેબ્રુઆરી 1940ના રોજ ભારત છોડો આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ ભરૂચમાં જાહેરસભાને સંબોધિત કરી પ્રચંડ લોકજુવાળ ઉભો કર્યો હતો.