વડોદરાની દહેગામ જીઆઈડીસીનો માર્ગ બિસ્માર બની જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય વધ્યો
ગાંધીનગર:જિલ્લાના વડોદરા ગામનથી દહેગામ જીઆઇડીસી તરફનો માર્ગ તાજેતરમાં થયેલા વરસાદમાં બિસ્માર બની જતાં અવર જવર કરતાં વાહન ચાલકોને અકસ્માતના ભયે પસાર થવું પડી રહ્યું છે. સમગ્ર માર્ગમાં ઠેકઠેકાણે ખાડા પડી જવાના કારણે પાણી ભરાઇ જતાં મુશ્કેલીનો સામનો પણ વાહનચાલકોને કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર અવાર નવાર તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ગુણવતા વગરની હોવાના કારણે ટુંકાગાળામાં માર્ગો બિસ્માર બની જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ત્યારે ચોમાસાની મોસમમાં સતત વરસાદ પડતો હોવાથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો ઉપર મસમોટા ખાડા પડી જતાં હોય છે અને વાહનચાલકોને પણ હેરાન પરેશાન થઇને પસાર થવું પડે છે.