ગુજરાત
News of Wednesday, 15th July 2020

યુવરાજસિંહ જાડેજાએ સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો

આંદોલન અધવચ્ચે છોડ્યા બાદ ફરી આંદોલન : બે દિવસ પૂર્વે જાડેજાએ દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનથી ખસી જવાનો નિર્ણય લીધો હતો

ગાંધીનગર, તા. ૧૫ :   બિન સચિવાલય પરીક્ષામાંથી આગેવાન બનેલા અને શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય યુવરાજસિંહ જાડેજા શિક્ષિત બેરોજગારોના હિતમાં પોતાની લડત ચાલુ રાખશે. બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાતિ વાતના નામે થઇ રહેલા રાજકારણથી આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિ સાથે રહીને લડત આપવાનો નિર્ણય લીધો છે. સરકારના જ કેટલાક આગેવાનો જાતિવાદનો મુદ્દો ઉછાળવા માંગે છે, જેના કારણે સમસ્યા ઉભી થઈ રહી છે. ઉત્તર ગુજરાતની લોબી રાજકારણ રમી રહી છે. વોટબેંકની રાજનીતિ ન થવી જોઈએ, પ્રશ્ન યુવાનોની રોજગારીનો છે, જાતિવાદનો નિમિત્ત બનાવ નથી માંગતો તેવું કહી યુવરાજસિંહ આંદોલનમાંથી ખસી ગયા હતા.

              યુવરાજસિંહ સમિતિમાંથી પણ ખસી ગયા હતા. તો બીજી તરફ, શિક્ષિત બેરોજગાર આંદોલન સમિતિના સભ્ય દિનેશ બાંભણીયાએ યુવરાજસિંહ જાડેજાને પણ સમર્થન જાહેર કર્યું હતું. તેઓએ કહ્યું કે, અમારી માગ ભરતી પૂર્ણ કરવાની હતી, પરિણામ જાહેર કરવાની માંગ હતી. બેરોજગાર કે ગરીબની કોઈ જાતિ હોતી નથી. કેટલીક જાતિના કહેવાતા આગેવાનો રાજનીતિ રમી રહ્યા છે. યુવાનીની ભરતીના મુદ્દાને જાતિવાદનો રંગ ના આપવો જોઈએ. ૧/૮/૧૮ના પરિપત્રના સમાધાનની વાત  હતી, રોજગારી માટે જાતિવાદ વચ્ચે ના લાવવું જોઈએ. કેટલાક લોકો ૧/૮/૧૮ના જીઆરને લઈ રાજનીતિ કરી રહ્યા છે, જે યોગ્ય નથી.

(7:48 pm IST)