વડોદરાના આજવા રોડ ઉપર રહેતા ધો.૧૦ના વિદ્યાર્થીએ પુરક પરીક્ષામાં નાપાસ થયા બાદ નાસીપાસ થઇને જીવતર ટુંકાવ્યુ
વડોદરા : શહેરનાં આજવા રોડ પર ધોરણ 10ના વિદ્યાર્થીએ પુરક પરીક્ષામાં નાપાસ ધયા બાદ નાસીપાસ થઇને જીવતર ટુંકાવ્યું હતું. જો કે પોલીસ પ્રાથમિક તપાસમાં તે પબજી ગેમની લત અને સિકલસેલની બીમારીના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે બાળકે આત્મહત્યા કરતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આજવા રોડ પર આવેલી યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા 17 વર્ષનાં જયદેવ સુનિલભાઇ વસાવાએ સોમવારે મોડી સાંજે પોતાનાં જ રૂમમાં ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જયદેવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જો કે તેમાં તે નાપાસ થતા પુરક પરીક્ષા પણ આપી હતી. જેમાં પણ તે નિષ્ફળ રહેતા ખુબ જ ડિપ્રેશનમાં રહેતો હતો.
આખરે તેણે કાલે પોતાનાં જ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જયદેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો. જયદેવ ઘણા સમયથી પબજીની લત લાગી ગઇ હતી. જેથી તે હંમેશા પબજી જ રમ્યા કરતો હતો. આ ઉપરાંત તેને સિકલસેલ નામની બિમારી પણ હતી. જેથી માનસિક રીતે પણ તુટી પડ્યો હતો. આ કારણોસર તેને મોડી સાંજે પોતાનાં રૂમમાં ફાંસો ખાઇ લીધો હોવાનું અનુમાન છે.