ગુજરાત
News of Monday, 14th June 2021

લોકગાયીકા ગીતા રબારીને ઘટનાનું પુનરાવર્તન ના થાય તે જોવા તાકીદ:ફિમેલ સુપરવાઈઝરને નોટીસ

ગીતા રબારીના ઘરે રસી આપવા માટે આરોગ્ય ટીમ જતા ભારે હોબાળો : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પત્ર પાઠવી જવાબદાર નાગરિક તરીકે વર્તવા કહ્યું

ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ તેમજ મહાનુભાવો દ્વારા હોસ્પિટલમાં જઇને કોરોનાની રસી લેવામાં આવી હતી. ત્યારે લોકગાયક ગીતા રબારી તથા તેમના પતિને ઘરે રસી આપવા માટે આરોગ્ય ટીમ ગઇ હોવાના મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. એટલું જ નહીં પરંતુ સરકારી તંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.

કચ્છ- ભૂજમાં રહેતી ગીતા રબારી તથા તેમના પતિ પુથ્વી રબારીને કચ્છ-ભૂજના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઓ. માઢકે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કચ્છ જિલ્લામાં કોવિડ 19 રસીકરણ 5,28,428 લોકોએ જેમાં વડીલો, બહેનો, યુવાનો વગેરેએ સરકારની ગાઇડલાઇન અનુસરીને રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ગામથી દૂરની જગ્યાએ જયાં સ્લોટ ઉપલબ્ધ હતો ત્યાં નિયત કરાયેલી રસીકરણ કેન્દ્રમાં જઇને લાઇનમાં ઊભા રહીને અને આરોગ્યતંત્રને સાથ સહકાર આપીને આદર્શ નાગરિક તરીકેની ફરજ બજાવી રસી મેળવી છે.

વધુમાં જણાવ્યું છે કે, આપ લોકગાયિકા છો અને ભારતીય નાગરિકની રૂએ સરકારની ગાઇડલાઇન અનુસરવા બંધાયેલા છો તેમ છતાં 12-6-21ના રોજ આપે આપના પતિ સાથે સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી કોવિડ 19ની રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે. જે ઘણું ખેદજનક છે. આ પ્રકારનુ કુત્ય આપ જેવા લોકગાયિકા માટે શોભનીય નથી. આપની આવી હરકતના કારણે આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર અને સામાન્ય જનતાના માનસ પર વિપરીત અસર થઇ છે.

છેલ્લાં લાંબા સમયથી રાત-દિવસ જોયા વગર કામ કરતાં આરોગ્ય કર્મચારીના ખુલાસા પૂછવાનો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. આપના દ્વારા હવે રસીનો બીજો ડોઝ સરકારની ગાઇડલાઇનને અનુસરીને નિયત રજીસ્ટ્રેશન કરાવી રસીકરણ કેન્દ્ર પર જઇ રસી મેળવો એવી અપેક્ષા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવે છે. આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લઇ ફરીથી ઘટનાનું પુનરાવર્તન ના કરવા તાકીદ સાથે જણાવવામાં આવે છે.

આ અંગે કચ્છ-ભૂજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, આ ઘટના અંગે સંબંધિત આરોગ્ય ફીમેલ સુપરવાઇઝરને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. જેનો ખુલાસો સંબંધિત સ્ત્રી આરોગ્ય સુપરવાઇઝર દ્વારા અત્રેની કચેરીને મળ્યો છે. તે બાબતનો નિર્ણય વિચારાધીન છે. વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર બાબતે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીને તેમણે કોવિડ રસીકરણની માર્ગદર્શિકાને ન અનુસરવા બાબતે તેમણે કરેલા કૃત્યને ખેદજનક ગણી દેશના જવાબદાર નાગરિક તરીકે ભવિષ્યમાં આવું અશોભનીય કૃત્ય ન કરવા તાકીદ કરતો પત્ર લખીને જણાવ્યું છે.

(12:26 am IST)