ગુજરાત
News of Wednesday, 15th May 2019

પત્રકારોને રડારમાં લેવાને બદલે ગુન્હાઓ અટકાવવામાં ધ્યાન દયો : શંકરસિંહ વાઘેલા

દલિતો સાથે દુર્વ્યવહારની ઘટના દુઃખજનક : એનસીપીનું હાઇ ડેલીગેશન રાજયપાલને મળશે

રાજકોટ તા. ૧૫ : પ્રેસ મીડિયાના મિત્રો પર કાયદાના રક્ષકો દ્વારા જ હુમલાની ઘટના અને દલિતો સાથે બનેલ આભડછેટની ઘટના બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજયના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ઉંડા દુઃખી લાગણી વ્યકત કરી છે.

તેઓએ જણાવેલ છે કે લોકશાહીમાં પત્રકારત્વની સ્વતંત્ર દુનિયા એ એનો ચોથો સ્તંભ ગણાય છે. ચાર સ્તંભ પર ઉભેલી લોકશાહીના આ મહત્વના સ્તંભ પર જો લુણો લાગે તો એની અસર સીધી લોકશાહી પર પડે છે. પરિવારને મુકી સત્ય આધારીત સમાચાર લોકો સુધી સીધા પહોંચે તે માટે જાનના જોખમે દોડતા રહેતા પત્રકારોને ધાક ધમકી, હુમલા અને કયાંક ચિરાગ પટેલ જેવા પત્રકારનો ભોગ લેવાય જવા સુધીના બનાવો બને તે દુઃખદ વાત છે. ગૃહ ખાતુ શું કરવા ધારે છે.

શંકરસિંહે જણાવેલ છે કે પાટીદાર આંદોલ વખતે પણ પત્રકારો પર જે હુમલા થયેલા અને ઇજા પહોંચાડવામાં આવી તેમના કેમેરા તોડી નાખવામાં આવ્યા અને હવે જુનાગઢમાં દેવપક્ષ આચાર્ય પક્ષ વચ્ચેની ચુંટણીમાં  મીડીયા પર લાઠીચાર્જ થયો છતા બીજેપી સરકારે શું પગલા ભર્યા? ખરેખર તો સરકારે આગામી વિધાનસભામાં આ બનાવોને વખોડી કાઢવાનો પ્રસ્તાવ લાવવજો જોઇએ અને એનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવા પગલા ભરવા જોઇએ. પત્રકારો માટે પત્રકાર સુરક્ષા ધારો વિધાનસભા ગૃહમાં રજુ કરવો જોઇએ. જેથી સલામતિ વિષે ઉભા થતા મુદ્દાઓનું નિરાકરણ આવી શકે.

મહેસાણા, સાબરકાંઠા અને હમણા અરવલ્લી જિલ્લમાં દલિત સાથે દુરવ્યવહાર થયો. દલિત યુવકના લગ્નના વરઘોડાનો  ગામ લોકો દ્વારા વિરોધ થયો. દેશમાં ઉંચ નીચના ભેદભાવ, છુત અછુતના ભેદભાવ, હિન્દુ ધર્મને બટ્ટો લગાડે છે તેમ આક્રોશભેર  તેઓએ જણાવેલ છે.

તેઓએ જણાવેલ કે અગાઉ જે બેટી બચાવો માટે સાધુ સમાજે અભિયાન હાથ ધરેલ તેને હું આહવાન કરુ છુ કે સમાજમાં ફેલાયેલ છુઆછુત દુર કરવા ગામડાઓમાં જઇે 'હું ઉંચ નીચનો ભેદભાવ કરીશ નહી, છુઆછુત રાખીશ નહી, દરેક સાથે સમરસતાથી વર્તીશ' તેવા શપથ લેવડાવે જેથી માણસાઇના દિવા પ્રગટી ઉઠે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં જળ સંકટ સપ્તાહ ઉજવી વોટર રેડ કરી છે. તે સાથેના તમામ અહેવાલો લઇને એનસીપીનું હાઇ પાવર ડેલીગેશ મહામહીમ રાજયપાલને મળી રજુઆત કરશે તેમ અંતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવેલ છે.

(1:22 pm IST)