નારોલમાં એચએસસી બોર્ડની વિદ્યાર્થીનીએ કરેલો આપઘાત
પરીક્ષામાં નાપાસ થતાં ગળેફાંસો ખાઇ લીધો : પોલીસે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીનીએ લખેલી સ્યુસાઇડ નોટ જપ્ત કરી : સ્થાનિકોમાં અરેરાટીની લાગણી
અમદાવાદ,તા. ૧૫ : પરીક્ષાનું પરિણામ ઘણા વિદ્યાર્થીઓ માટે કરિયરનો મહત્વપૂર્ણ વળાંક સાબિત થાય છે તો ઘણા વિદ્યાર્થીઓ માટે જીવલેણ પણ નીવડી શકે છે. આજે શહેરમાં આવી જ એક ઘટના બની છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલા વૈશાલી નગરમાં ધોરણ-૧૨ની એચએસસી બોર્ડની વિદ્યાર્થિનીએ નાપાસ થતા આત્મહત્યા કરી લીધી છે. મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી વિદ્યાર્થિનીએ સુસાઈડ નોટ પણ લખી છે. વિદ્યાર્થીનીની આત્મહત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી પણ ફેલાયેલી જોવા મળી હતી. બનાવની જાણ થતાં નારોલ પોલીસ પણ તાત્કાલિકન ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસ સ્ટાફને વિદ્યાર્થીનીએ આત્મહત્યા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ હાથ લાગી હતી. એચએસસી બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના કારણે લાગી આવતાં વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું હતું. જો કે, તેમછતાં પોલીસે બનાવની ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે.
પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો અને આ ઘટના અંગે જરૂરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આડોશ-પાડોશના લોકો ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. વિદ્યાર્થીનીની આત્મહત્યાને લઇ સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.