ભરૂચના ટંકારીયામાં તસ્કરો ત્રાટક્યા:બે બંધ મકાનમાં તાળા તોડીને 1,80 લાખની ચોરી
બન્ને મકાનોમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન
ભરૂચના ટંકારિયા ખાતે બે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ સાથે સોનાના દાગીનાની ચોરી કરીને પલાયન થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે
મળતી પ્રાથમિક વિગત મુજબ તા.૧૪મીની રાતે ટંકારીયા ગામે રહેતા મહંમદ તૌસિફ ઐયુબ પટેલ વેકેશન હોઇ બહાર ગયા હતા તેમજ તેમની નજીકના ઘરમાં રહેતા ફારૂક ઉમરજી વલવી પણ ઘર બંધ કરી પોતાની બહેનને ત્યાં સુવા માટે ગયા હતા.જેઓ તા.૧૫મીની સવારે પરત ફરતા તેમણે મકાનોના તાળા તુટેલા જોયા હતા.જેથી કંઇ બન્યુ હોવાની આશંકાએ તપાસ કરતા ઘરનો તમામ સામાન વેર વિખેરતેમજ અમુક સામાનની તોડફોડ થયાનું માલુમ પડ્યું હતું તથા ઘરનો અમુક સામાન ખેતરમાં પણ પડ્યાનું નજરે પડ્યું હતું.
બંન્ને મકાન માલિકો દ્વારા ઘરમાં જઈ વધુ તપાસ કરતા તૌસિફ પટેલના ઘરમાંથી રોક્ડા 8૦,૦૦૦ તથા દોઢ તોલા જેટલું સોનું તેમજ ફારૂક વલવીના મકાનમાંથી રોક્ડા ૮૦ થી ૯૦ હજાર તેમજ સોનાની વીટી મળી બંન્ને મકાનોમાંથી લગભગ ૧ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી કરી કોઇ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયાનું માલુમ પડ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ગામમાં થતાં જ ગામલોકો પણ દોડી આવ્યા હતા. બંન્ને મકાન માલિકો દ્વારા ચોરી થયાની ફરિયાદ પાલેજ પોલીસ મથકે નોંધાવવની કવાયત હાથ ધરી છે.