અમદાવાદ જિલ્લાના બાવળા-ધોળકા વિસ્તારમાં ગેરકાયદે ખનીજચોરી કરતા શખ્સોની રંગે હાથે ધરપકડ કરવામાં આવી
અમદાવાદ:જીલ્લાના બાવળા અને ધોળકા સહિતના તાલુકાઓમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા પાસે આવેલ સાબરમતી નદીના પટમાંથી ગાંધીનગર તેમજ અમદાવાદ ખાણ ખનીજ વિભાગની ટીમે રેઈડ કરી મોટાપાયે ખનીજચોરી ઝડપી પાડી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના નવાપુરા, વિસલપુર, પાલડી, કાંકજ, સરોડા, કાસીદ્રા, ચંડીસર સહિતના ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા સરકારના નિયમોનું ઉલંધ્ધન કરી ગેરકાયદેસર રેતીચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં રાજકીય આગેવાનો સહિત વગ ધરાવતાં લોકોની પણ મીલીભગત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર અને અમદાવાદ ખાણ ખનીજ વિભાગને મળેલ બાતમીના આધારે સ્ટાફ સહિત નવાપુરા ગામ પાસે ગેરકાયદેસર ખનીજચોરી અંગે રેઈડ કરી હતી જેમાં સ્થળ પરથી એક હિટાચી મશીન ૬ ડમ્પર મળી કુલ રૂા.૧.૦૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અવાર-નવાર જીવના જોખમે ગેરકાયદેસર ભુમાફીયાઓને ઝડપી પાડવામાં આવે છે પરંતુ ભુમાફીયાઓને કોઈપણ જાતનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા ઝડપી પાડયાં બાદ કોર્ટ મારફતે સહેલાઈથી વાહનો કોઈપણ જાતના દંડ વગર છોડાવી લે છે ત્યારે કાયમી ખનીજચોરી રોકવા માટે ઝડપાયેલ ભુમાફીયાઓ સામે પાસા જેવી કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે ઝડપાયેલ મુદ્દામાલ અને ભુમાફીયાઓ સામે તંત્ર કેવી કામગીરી કરે છે તે તો જોવું જ રહ્યું.