મહુધાના નિઝામપુરામાં સમાજના બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે થયેલ હુમલામાં 6ને ગંભીર ઈજા
મહુધા: તાલુકાના નિઝામપુરામાં નજીવી બાબતે ભોઈ સમાજના બે જૂથો વચ્ચે થયેલા ધીંગાણામાં છ વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે બંને ફરિયાદને આધારે કુલ આઠ સામે ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના નિઝામપુરામાં ભોઈવાસમાં રહેતાં દિનેશભાઈ બુધાભાઈ ભોઈ ગઈકાલે રાત્રે ૯ કલાકે તેમના કાકા પ્રતાપભાઈ ફતાભાઈ ભોઈના ઘરે ગયાં હતાં. ત્યાથી કાળુભાઈ પઠાણની કરિયાણાની દુકાને સામાન લેવાનો હોઈ તે લેવા ગયાં હતાં. તે સમયે ગામમાં રહેતાં અજયભાઈ ભીખાભાઈ ભોઈ ધારીયું લઈને તથા સંજયભાઈ પુનમભાઈ ભોઈ લાકડી લઈને સામે મળ્યાં હતાં. અને પ્રતાપભાઈને આ બંનેએ જણાવ્યું હતું કે તે સવારે ખેતરમાં ચા લઈને આવ્યો હતો તે વખતે કેમ કાતરીયા ખાતો હતો. તે સાંભળી પ્રતાપભાઈ એ જણાવ્યું હતુ કે મે તમારી સામે ક્યાં કાતરીયા ખાધા છે. આવુ કહેતાં અજયભાઈ તેમજ સંજયભાઈએ ગાળાગાળી શરૂ કરી હતી. જે ગાળો બોલવાની ના પાડતાં અજયભાઈ ઉશ્કેરાઈ ગયાં હતાં. અને તેમના હાથમાનુ ધારીયુ પ્રતાપભાઈના કપાળના ભાગમાં મારી દીધુ હતુ. ચંપાબેન કનુભાઈ ભોઈ છોડાવવા વચ્ચે પડતાં તેમને માથાના ભાગે સંજયભાઈએ લાકડી ફટકારી હતી. તેમજ દિનેશભાઈ બુધાભાઈ ભોઈને પણ લાકડીઓ ફટકારી હતી. અજયભાઈના અન્ય સબંધીઓ દિલિપભાઈ જવરભાઈ ભોઈ અને પુનમભાઈ છગનભાઈ ભોઈ આ બંનેનું ઉપરાણુ લઈ હુમલો કરવા ઘસી આવ્યાં હતાં. તેમને પણ પોતાના હાથમાંનું ધારીયુ દિનેશભાઈના સબંધીઓ પર ઉગામ્યું હતું જેથી તેમને પણ ઈજા થઈ હતી.