લોકસભા ચૂંટણી ;પસંદગી પ્રક્રિયામાં ભાજપનો જૂથવાદ ભભૂક્યો :સેન્સ દરમિયાન કાર્યકરો ખુલીને નારાજગી વ્યક્ત કરતા નિરિક્ષકોને આંચકો
બનાસકાંઠા, અમરેલી અને કચ્છમાં કાર્યકરોએ વિરોધ કરીને ખુલીને નારાજગી દેખાડી
અમદાવાદ :લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે શિસ્તબદ્ધ પક્ષ મનાતા ભાજપના જૂથવાદે ફૂંફાડા માર્યા છે ભાજપ ઉમેદવારની પસંદગીને લઈ વિચાર વિમર્શ અને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે તેમાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થયાના સમાચાર બહાર આવ્યા છે લોકસભા ઉમેદવારોની પસંદગી માટે લેવામાં આવી રહેલી સેન્સ પ્રક્રિયામાં અનેક જીલ્લામાં જૂથવાદ સામે આવી રહ્યો છે.
રાજ્યના અનેક જીલ્લામાં ઉમેદવારોને લઈ જૂથવાદ ચરમ સીમા પર જોવાયો છે જયારે બનાસકાંઠા, અમરેલી અને કચ્છમાં તો પક્ષના કાર્યકરો ખુલીને નારાજગી વ્યક્ત કરતા પ્રદેશ નેતાગીરીથી હાઈ કમાન્ડ નારાજ થઈ રહ્યું છે
મળતી વિગત મુજબ બનાસકાંઠા જીલ્લામાં બીજેપી પ્રમુખ કેશાજી ચૌહાણના સમર્થનમાં કાર્યકર્તાઓએ રજૂઆત કરતા સેન્સ માટે ગયેલા ભાજપાના નિરિક્ષકોને આંચકો લાગ્યો હતો. પરબત પટેલને ટિકિટ આપવા અંગે લોબિંગ કરવામાં આવ્યું છે.
એવું પણ કહેવાય છે કે શંકર ચૌધરીના ઈશારા પર કેશાજી ચૌહાણના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. જો પરબત પટેલને લોકસભા ચૂંટણીની ટિકિટ મળે તો, થરાદ પેટા ચૂંટણીમાં શંકર ચૌધરીને ટિકિટ મળવાની સંભાવના છે.
બીજીતરફ અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના વિરોધથી પણ નારાજગી જોવા મળી છે. તો અમરેલી, કચ્છમાં પણ આંતરીક જુથબંધીથી પક્ષની છાપ ખરાબ થાય તેવું મોવડી મંડળનું તારણ છે. રાજ્યનનું મોવડી મંડળ આવા નેતાઓની યાદી અમિત શાહ સુધી પહોંચાડશે