વલસાડના ધરમપુરમાં દેશી તમંચાની અણીએ આંગડિયા પેઢીને લૂંટવા આવેલ બે ગઠિયાને લોકોએ મેથીપાક ચખાડ્યો
વલસાડ:ધરમપુરમાં આજરોજ સવારે દેશી તમંચાની અણીએ આંગડિયા પેઢી લૂંટવા આવેલા બે લૂંટારુઓને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારી પોલીસને આપ્યા હતા. મૂળ યુપીના બે લૂંટારુ સ્થાનિકની ટીપના આધારે આંગડિયા પેઢી લૂંટવા આવ્યા હતા. જોકે, આંગડિયા પેઢીનો સંચાલક ડર્યા વિના છટકી જતાં લૂંટની ઘટના ટળી શકી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ધરમપુરમાં રવજી ગલી, જલારામ શોપિંગ સેન્ટરમાં વી. પી. આંગડિયા એન્ડ કુરિયર સર્વિસ ચલાવતા શ્રવણજી સારંગજી(ઉ.વ.૩૫ રહે. કૈલાસરોડ, વલસાડ) આજરોજ રાબેતા મુજબ સવારે તેમની દુકાને ગયા અને દુકાન ખોલી પૂજાપાઠ કર્યા હતા. ત્યારબાદ તુરંત જ બે લૂંટારુઓ દેશી તમંચા સાથે તેમની દુકાનમાં ઘુસ્યા અને તેમને તમંચો બતાવ્યો હતો. તેમને જોઇ શ્રવણજી તુરંત નીચે ભાગ્યા અને બૂમરાણ મચાવી હતી. જેને લઇ નીચે લોકો એકત્ર થઇ ગયા હતા એ જ સમયે ઉપરથી બે લૂંટારુઓ આવતા લોકોએ હિમંતભેર તેમને પકડી તેમને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસ પણ આવી ગઇ હતી અને તેમને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.