વડોદરાના આજવારોડ પર પરિણીતા સાથે યુવકે અનૈતિક સંબંધ રાખતા હત્યા
વડોદરા: શહેરના આજવારોડ પર હનુમાનપુરા ગામે યુવાનની હત્યાના બનાવમાં પરિણિતા સાથે અનૈતિક સંબંધો બહાર આવ્યા છે. મૃતક યુવાનને પરિણિતા સાથેના સંબંધો અંગે અગાઉ ચેતવણી આપવામાં આવી હતી તેમ છતા ગઇ કાલે તે રંગે હાથ ઝડપાયા બાદ તેને માર મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના આ બનાવમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
હનુમાનપુરા રોડ પર સાગર સ્ટુડિયોની પાછળ ગોકુળધામ સોસાયટીમાં કાળુ રેવાભાઇ ભરવાડ, ધુળાભાઇ રેવાભાઇ ભરવાડ અને રણછોડ ભીમાભાઇ ભરવાડે મેઘા ખેંગાર સાઢીયાને બોલાવી ખાટલા સાથે બાંધી લાકડીથી ઢોર માર મારતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ હત્યા કરી ફરાર થઇ ગયેલા ભરવાડોની પોલીસે શોધખોળ હાથ ધરી હતી જો કે શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે આજવારોડ પર કમલાનગર તળાવ પાસેથી કાળુ ભરવાડ(રહે.ભક્તિનગર, અંકુર ફાર્મ સામે, હનુમાનપુરા)ેને ઝડપી પાડી બાપોદ પોલીસના હવાલે કર્યો હતો.