ગુજરાતમાં જીનપીંગની મહેમાનગતિ પછી પણ ચીનની આડોડાઇ તો એની સાથે સંબંધ શા માટે?
ગુજરાતમાં સ્થાનિક ધંધા-રોજગારના ભોગે ચીન માટે લાલ જાજમઃ ડો મનીષ દોશી
અમદાવાદ તા.૧૫: આતંકવાદીના આકા. ટ્રેનિંગ કેમ્પના સુત્રધાર અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં વારંવાર આડખીલીરૂપ બનીને રક્ષણ આપનાર ચીનની સરકારે જવાબ આપવાનો સમય પાકી ગયો છે. એક તરફ ચીનના પ્રમુખશ્રી જીનપીંગને રેક કાર્પેટ પાથરીને સરકાર સરભરા-મહેમાનગતિ કરાવે અને બીજી બાજુ ભારતમાં આતંકવાદી હુમલામાં જેમનું માસ્ટર માઇન્ડ છે તે અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર ન થવા દેવા માટે એ જ ચીનની સરકાર વીટો પાવરનો ઉપયોગ કરે તે કેટલે અંશે વ્યાજબી? તેવો પ્રશ્ન કરતા પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત દેશના વિવિધ પ્રદેશોમાં નાગરિકો કોઇને કોઇ રીતે આતંકવાદી ઘટનાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં પુલવામામાં સી.આર.પી.એફ.ના ૪૦ થી વધુ જવાનો શહીદ થયા જેના માટે આતંકવાદીના આકા અઝહર મસુદના ટ્રેનિંગ કેમ્પે જવાબદારી સ્વીકારી છે. ઉરી, પઠાણકોટમાં હુમલો, કાશ્મીરમાં વારંવારની આતંકી હુમલાની ઘટના અને તાજેતરમાં પુલવામામાં થયેલ હુમલાના તમામ પુરાવા હોવા છતાં અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન સરકાર જ આડખીલી રૂપ બને છે. ત્યારે જે દેશ ભારત દેશની એકતા-અખંડીતતા સામે પડકારરૂપ આતંકવાદ સામે મદદકર્તા ન બને તે જ ચીન સાથે કઇ રીતે સંબંધ રાખી શકાય?
ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોલેરા સર સાથે તીનશાંગ હોલ્ડીંગ ગૃપ ચાઇનીઝ કંપનીએ ૨૧૦૦૦ કરોડના કરાર કર્યા છે. ટેબા ચાઇના-ઇન્ડિયા ફ્રેન્ડશીપ એશોસિએશન અને શીન યાંગ પ્રોવિકે દહેજ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે ૧૦૦ યુનિટો ચાઇનીઝ કંપનીના સ્થાપવામાં માટે આગળ વધી રહય છે. મુન્દ્રા ખાતે ૩ બિલિયનના રોકાણ સાથે રીફાઇનરી અને પેટ્રોકેમિકલ, અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રપ૦૦ કરોડના એલ.ઇ.ડી. પ્રોજેકટ, સી.આર.આર.સી. નાનઝિંગ કૂઝાન મેટ્રો રોલિંગ બ્લોક માટે આગળ વધી રહયા છે. મેટ્રો રેલ પ્રોજેકટ, સરદાર પટેલને પ્રતિમાનું આઉટસોર્શિંગ વર્ક પણ ચાઇનીઝ કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ ફટાકડા, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, ચાઇનીઝ રમકડાઓ ભાજપ ચૂંટણી પ્રચાર સામગ્રી, ગરીબ-કલ્યાણ મેળામાં સીવણ મશીન સહિતની સ્વરોજગાર માટેના વિવિધ સાધનો,સ્વચ્છતા અભિયાન માટેની સામગ્રીઓ, યોગ માટેની કાર્પેટ જેવી અનેક વસ્તુઓ મોટા પાયે બેરોકટોક વેચાઇ રહી છે અને સરકારી વિભાગો પણ ખરીદી રહ્યા છે તે કેટલા અંશે વ્યાજબી?
આતંકવાદીના આકા અઝહર મસુદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન સરકાર આડખીલી બંધ કરે. રાષ્ટ્રવાદની દુહાઇ દેતી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરોડો રૂપિયાના અને ચાઇનીઝ ઉત્પાદનો અને ચાઇનીઝ કંપનીઓના અબજો રૂપિયાના વેચણ માટે જે તે રીતે પ્રોત્સાહન આપે છે તે અંગે દેશની ૧૩૦ કરોડ અને ગુજરાતની ૬ કરોડ જનતા જવાબ માંગે છે તેમ ડો. મનીષ દોશી જણાવે છે.