આણંદ તાલુકાના રાસનોલમાં મિલ્કત બાબતે ત્રણ શખ્સોએ પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા
આણંદ: તાલુકાના રાસનોલ ગામે ગઈકાલે રાત્રીના સુમારે ભાગ બાબતે સગાભાઈ સહિત ત્રણ શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડાના ડંડાથી હુમલો કરીને ભાઈ અને માતા-પિતાને માર મારીને પગોના ભાગે ફેક્ચર કરી નાંખતા આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર રાસનોલના ગબાપુરા ગઢ વિસ્તારમાં દિલીપભાઈ પુનમભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ચીખોદરા ડેરીમાં દૂધ ભરીને ઘરે આવ્યા હતા ત્યારે તેના મોટાભાઈ અને તેના સસરા પ્રતાપભાઈ પ્રભાતભાઈ રાઠોડ તેના પિતા પુનમભાઈને કહેતા હતા કે તમો વિજયને ભાગ આપી દો. જેથી પુનમભાઈએ તે કશું કામધંધો કરતો નથી જેથી તેને ભાગ નહીં મળે તેમ જણાવ્યું હતુ. જેથી વિજયભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી દિલીપભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં પોતાના હાથમાની લોખંડની પાઈપ ડાબા ખભા ઉપર તેમજ પગોના ભાગે મારી દીધી હતી. સસરા પ્રતાપભાઈએ પણ લાકડાના ડંડાથી માર માર્યો હતો. પુનમભાઈ તથા જશીબેન વચ્ચે પડતાં તેમને પણ લોખંડની પાઈપથી માર માર્યો હતો. વિજયનું ઉપરાણું લઈને તેનો મિત્ર અર્જુન રાવજીભાઈ લોખંડની પાઈપ લઈને આવી ચઢ્યો હતો અને માર માર્યા હતા.