વડોદરા નજીક હનુમાનપુરામાં ત્રણ ભાઈઓએ સાગરીત સાથે મળી યુવાનને ખાટલે બાંધી ઢોરમાર માર્યો: સારવાર દરમ્યાન મોત નિપજતા તપાસ શરૂ
વડોદરા:શહેર નજીક આવેલા હનુમાનપુરા ગામ ખાતે આજે સવારે રતનપુરના યુવક પર હનુમાનપુરા ગામના જ ત્રણ ભાઇઓ અને તેના સાગરીતોના ટોળાએ લાકડીઓ તથા પથ્થરો વડે જીવલેણ હૂમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત યુવકનું એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થતાં બાપોદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે બીજી તરફ તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
હત્યાની આ ઘટના બાદ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવકના સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સંબંધીઓના ટોળા પાસેથી મળતી માહિતી અનુસાર ડભોઇરોડ પર આવેલા રતનપુર ગામમાં ભારતનગરમાં રહેતો ૩૮ વર્ષનો મેઘા ખેંગાર સારિયા નામનો યુવક સયાજીપુરા એપીએમસી માર્કેટમાં ટેમ્પો ચલાવતો હતો અને રતનપુરમાં પત્ની તથા બે બાળકો સાથે રહેતો હતો. મેઘો આજે સવારે ટોમ્પો લઇને નીકળ્યો હતો અને આજવા ચોકડી પાસે ઉભો હતો આ દરમિયાન આશરે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં તેના મોબાઇલ પર હનુમાનપુરા ખાતે રહેતો ધુવા રવા, કાળુ રવા અને તેનો અન્ય એક ભાઇ પૈકી કોઇનો ફોન આવ્યો હતો મેઘાને હનુમાનપુરાની સીમમાં બોલાવ્યો હતો.