રાજપીપળામાંથી રેલ્વે જંક્શન બાદ હવે એરપોર્ટ પણ છીનવાઈ જશે તો જીલ્લાની નેતાગીરી પાંગળી પુરવાર થશે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ની આજુબાજુના વિસ્તારોનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ આ વિકાસમાં સરકાર રાજપીપળા સાથે અન્યાય કરી રહી હોય એમ જીલ્લાની પ્રજાને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.છતાં સરકાર પ્રજા ને ઉલ્ટા ચશ્માં પહેરાવવા પ્રયાસ કરતી હોય એમ લાગી રહ્યું છે.
કેવડીયામા આકાર લઈ રહેલા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનની લાઈન રાજપીપળા થઈને લઈ જવાનો પ્રસ્તાવ હતો પણ પ્રજાના આશ્ચર્ય વચ્ચે લાઈન વાયા ચાણોદ કરી રાજપીપળાનો છેદ ઉડાડી દેવાયો હતો,અને જીલ્લા ની સત્તા ધારી નેતાગીરી વામણી પુરવાર થતી લાગી હતી, અને લોકો વચ્ચે જતાં નેતાઓ ટીકાને પાત્ર બન્યાં હતા. ત્યારે સ્થાનિક નેતાઓનું ગાંધીનગરમા કંઈ ઉપજતું નથી તેવી વાત પણ ફરતી થઈ હતી
. હવે આ સંભવિત એરપોર્ટ પણ ગરુડેશ્વર તરફ લઈ જવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ જતાં સત્તાધારી પાર્ટીની નેતાગીરી લુલી જોવા મળી ત્યારે હોદ્દેદારો ગળુ ખોંખારી ને એરપોર્ટ તો રાજપીપળા માંજ બનવું જોઈએ તેવો હુંકાર કર્યો છે સાથે ઉપલા સ્તરે રજુઆત કરીશું તેવો રાગ આલાપ્યો હતો ત્યારે હવે જોવુ એ રહ્યું કે એરપોર્ટ ની આ રસ્સા ખેંચ રમત મા કોનો વિજય થાય છે
આ મુદ્દે વેપારીઓને પુછતાં તેમણે જણાવ્યું કે વિમાનો રાજપીપળા મા ઉતરે અને હવાઈ સેવાઓ શરૂ થાય તો વિકાસ ઝડપી તેમ છે પણ સરકાર રાજપીપળા શહેર સાથે અન્યાય કરી રહી છે તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે.
આ મામલે જીલ્લાના ધરતીપુત્રો કહે છે કે રાજપીપળા ના સરકારી ઓવારા પાસે રાજા રજવાડા સમયનું એરોડ્રામ હોવા છતાં એરપોર્ટ કેવડિયા લઈ જવાની વાત વહેતી થઈ છે જે ખોટું છે જો રાજપીપળા માં એરપોર્ટ આવે તો રાજપીપળા નો વિકાસ થાય જેથી ખેડૂતો એરપોર્ટ માટે પોતાની જમીનો આપવાની તૈયારી પણ દેખાડી રહ્યા હોવાની વાત જાણવા મળી છે.
આ બાબતે રાજપીપળાના ભાજપના શહેર પ્રમુખ અને અનાજ કરિયાણા વેપારી મંડળ ના પ્રમુખ રમણસિંહ રાઠોડે પણ મીડિયા સાથે વાત કરતા જણાવયું હતું કે એરપોર્ટની ઘણા દિવસથી વાતો ચાલે છે કે રાજપીપળા થી ખસેડીને કેવડિયા પ્રસ્થાપિતની વાત ચાલુ છે પણ મારુ એવું માનવું છે કે એરપોર્ટ ની જગ્યા રાજા રજવાડા વખતની છે અને તે સમયે ત્યાંજ વિમાનો ઉતરતા હતા અને ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરૂ પણ તે વખતે ત્યાં જ ઉતર્યા હતા માટે આ એરપોર્ટ તો અહીંયા જ આવવુ જોઈએ.
ત્યારે રાજપીપળા એરપોર્ટ મુદ્દે હવે એ જોવું રહ્યુ કે આગામી દિવસોમા આ સમસ્યા નો ટર્નિંગ પોઈન્ટ ક્યાં આવે છે.