બનાસકાંઠાના અંબાજીની એકલવ્ય સ્કુલનાં વિદ્યાર્થીનો આપઘાત
બનાસકાંઠાઃ અંબાજી ખાતેની સ્કૂલમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહીતી મુજબ બનાસકાંઠામાં આદિવાસી બાળકોની એકલવ્ય સ્કૂલમાં ભણતા 14 વર્ષના અજય ગમારે રાત્રે હોસ્ટલના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેને પગલે સ્કૂલમાં ઉહાપોહ મચ્યો હતો. માત્ર 14 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા સ્કૂલ સંકુલમાં વિવિધ વાતો વહેતી થઈ છે. આ બનાવને પગલે અંબાજી પોલીસ દ્યટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અંબાજી પાસે અનેક આદિવાસીઓ વસવાટ કરે છે, આ આદિવાસી વિસ્તારોના બાળકોનું શિક્ષણ સ્તર સુધરે અને તેમને સારું શિક્ષણ મળી રહે તે માટે આ વિસ્તારમાં સરકાર દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલ બનાવવામાં આવી છે. તેથી માત્ર 14 વર્ષના બાળકે કયા કારણોસર આત્મહત્યા કરી, તેને સ્કૂલમાં કોઈ તકલીફ હતી કે, પછી પરિવારની કોઈ સમસ્યા કારણભૂત હતી, તે વિશે પોલીસે તપાસ શરૂ કરી છે.