8 મહિનાથી ફરાર વડોદરાની પરિણીતાને શોધી કાઢવા હાઇકોર્ટનો હુકમ
વડોદરા:શહેરના ગોત્રી ઈસ્કોન મંદિર પાસેના ખાનગી કમ્પ્યુટર ક્લાસમાંથી છૂટયાં પછી ગત વર્ષે જુલાઈ માસની તા.૨૬મીએ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પરિણીતાને શોધી કાઢવા માટે હાઇકોર્ટે હુકમ કરતાં પોલીસ દોડતી થઈ છે. ગુમશુદા પરિણીતાનાં પિતાએ દાખલ કરેલી હેબિયસકોર્પસ એપ્લિકેશનના સંદર્ભમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો.
ગોત્રી પીઆઇના જણાવ્યા પ્રમાણે, ગુમશુદા ભ્રાંતિબેન દિલીપભાઈ તલાટી મૂળ નડિયાદના વતની છે. આશરે ૧૭ વર્ષ પૂર્વે વડોદરા શહેરમાં હાલમાં ગદાપુરા, ઉત્કર્ષ વિદ્યાલય પાસેની વીઆઇપી સોસાયટીમાં રહેતાં સચીનભાઈ વકીલ સાથે લગ્ન કર્યા હતા. સચીનભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને નવનિયુક્ત કર્મચારીઓને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. દંપતીને ૧૫ વર્ષનો એક પુત્ર છે.
તા.૨૬મી જુલાઈ, ૨૦૧૭ના રોજ તેઓ ક્લાસમાં ગયા હતા, પરંતુ પાછા ફરતી વખતે સાંજે ૪:૩૦ વાગ્યે રહસ્યમય સંજોગોમાં ગુમ થયાં હતાં. ગુમશુદાનાં પતિ દ્વારા મિસિંગ અંગેની પોલીસમાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ભ્રાંતિબેનના કોઈ સગડ મળ્યા ન હતા. આખરે તેમના પિતા દિલીપભાઈ રતિલાલ તલાટીએ હાઇકોર્ટમાં હેબિયસકોર્પસની એપ્લિકેશન કરી હતી. ગુમશુદા ભ્રાંતિબેનને શોધી કાઢવાનો હાઇકોર્ટે હુકમ કરતાં વડોદરા પોલીસ દોડતી થઈ છે.