જોટાણાના બલોલમાં છરીના ઘા જીકી કિશોરની કરપીણ હત્યા થતા અરેરાટી
જોટાણા:તાલુકાના બલોલ ગામમાં સોમવાર રાત્રીએ એક કિશોરની છરીના ઘા મારી હેત્યા કરી દેવામાં આવતા ગામ સહીત પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. જો કે પાટીદાર કિશોરની હત્યા પાછળનુ કારણ જાણવા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસ ટીમ ગામ ખાતે ધામા નાંખી તેનુ મિત્ર વર્તુળ સહીત શકમંદોની પુછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બલોલ ખાતે રહેતા કિર્તીભાઈ પટેલનો ૧૭ વર્ષીય પુત્ર નીલ પટેલ સોમવાર રાત્રીએ ઘરેથી નાસતો લેવાનુ કહી ગામના બજાર તરફ ગયો હતો. જો કે મોડા સુધી તે પરત ન ફરતા તેના પિતાએ મોબાઈલ પર સંપર્ક સાધ્યો હતો પરંતુ મોબાઈલ ઉપડતા તેઓએ ગામના ભવાની માતાના મંદિર નજીક તપાસ કરતા નીલ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો.
કિશોરની છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવાના સમાચાર ગામમાં પ્રસરી જતા લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને લોકોમાં ભારે રોષની લાગણી ઉદભવી હતી.
આ ઘટનાની જાણ સાંથલ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પોલીસ તેના છેલ્લા લોકેશન આધારે તેના મિત્ર વર્તુળની પુછપરછ હાથ ધરી છે. અને આ હત્યા પાછળનુ કારણ જાણી આરોપીઓને ઝડપી લેવા ઉંડાણપૂર્વક તપાસ આરંભી છે.