ગુજરાત
News of Thursday, 15th February 2018

સુરતના ઉઘના રેલ્વે સ્ટેશન પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા : ૮ ટ્રેનો મોડી પડી

સુરત : સુરત પાસે રાજધાની ટ્રેન હડફેટે ગૌમાતા આવી જતા ટ્રેનને એકાદ કલાક રોકી દેવી પડી હતી. પ્રાત્ન માહિતી મુજબ  બાન્દ્રા ટર્મીનલથી નિઝામુદ્દીન જતી રાજધાની ટ્રેન તેના નિયત સમયે બાન્દ્રાથી ઉપડી સુરત તરફ આવી રહી હતી તે વખતે  સાતેક વાગ્યાની આસપાસ સુરત નજીક ઉધના-ભેસ્તાન રેલવે સ્ટેશનની વચ્ચે આ ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેના કારણે રાજધાની ટ્રેનનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો અને ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર ૪૮ મિનિટ રોકી રાખવાની ફરજ પડી હતી. જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ જતી આઠ ટ્રેન પણ મોડી પડી હતી.

બાન્દ્રાથી સાંજે ૪.૦૫ કલાકે ઉપડી આ ટ્રેન સુરત આવી રહી હતી તે વખતે સાંજે ૬.૫૦ કલાકે ભેસ્તાન રેલવે સ્ટેશનથી થોડે દૂર ભીમનગર પાસે એકાએક એક ગાય રેલવે ટ્રેક પર પહોંચી ગઈ હતી. ટ્રેનના ડ્રાઇવર પાસે સમય જ ન રહ્યો કે તે ગાયને બચાવી શકે. આખરે ગાઈ ટ્રેન સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે એન્જિન કિલપિંગનો પ્રેશર પાઇપ ફાટી ગયો હતો. સાવધાની પૂર્વક આ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચાડી ત્યાં થંભાવી દીધી હતી.

આશરે ૪૮ મિનિટ રોકાયા બાદ આ ટ્રેન નિઝામુદ્દીન તરફ જવા રવાના થઈ હતી.

 

(3:14 pm IST)