સુરતવાસીઓ... એક મીનીટ માટે પણ માસ્ક ઉતારતા નહીં : મ્યુનીશીપલ કમિશ્નર બંછાનિધિ પાનીની અપીલ
રાજકોટ, તા. ૧પ : સુરત શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે રીતે જોતાં આવનારા ૧૫ દિવસ ખૂબ જ જોખમી હોવાનું મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. શહેરમાં છેલ્લા ૧૫ જ દિવસમાં કોરોનાના ૧૫,૦૦૦ કેસ નોંધાઈ ચૂકયા છે. તેમજ આવનારા દિવસોમાં એક જ દિવસમાં સાતથી આઠ હજાર જેટલા કેસ નોંધાશે તેવી શકયતા તંત્ર દ્વારા સેવાઈ રહી છે.
જેથી શહેરીજનો આવનારા ૧૫ દિવસ ખૂબ જ વધારે સાવચેતી રાખે તેમ જણાવાયું છેમનપા કમિશનરે શહેરીજનોને સાવચેત કરતા જણાવ્યું છે કે, જો ૧ મિનીટ માટે પણ માસ્ક નીચે ઉતાર્યુ તો સંક્રમિત થવાની શકયતા ૧૦૦ ટકા જેટલી છે. જેથી લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરે એ હાલમાં ખૂબ જરૂરી છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ હાલની કોરોનાની પરિસ્થિતિ અંગે લોકોને સાવચેત રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, જે લોકોએ હજી સુધી વેક્સિન નથી લીધી તેમજ જેમની ઉંમર ૬૦ વર્ષથી વધારે છે તેમને હાલ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. શહેરીજનોએ રિવર્સ ક્વોરન્ટાઈન મેથડ પર ચાલવું પડશે. વડીલોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે.