ખરેખર અયોધ્યા રામ મંદિર તો રામરાજ્યનું અને ભારતીય સમાજનું સમરસતાનું પ્રતિક છે : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી
અયોધ્યા રામમંદિર નિર્માણમાં SGVP ગુરુકુલ દ્વારા રુપિયા ૫૧,૦૦,૦૦૦/- એકાવન લાખનું સમર્પણ
અમદાવાદ તા. ૧૫ મકરસંક્રાન્તિના મંગળ પર્વે SGVP ગુરુુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- ( એકાવન લાખ રુપિયા ) અર્પણ કરવામાં આવેલ.
આ અર્પણ વિધિમાં અશોકભાઇ રાવલ (ગુજરાત વિ.હિ.પ.ના મહામંત્રી), અશ્વિનભાઇ પટેલ (વિ.હિ.પ.ના મહામંત્રી ઉત્તર ગુજરાત), ધીરુભાઇ કપુરિયા (વિ.હિ.પ. ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ઉ.ગુ.) નારણભાઇ મેઘાણી સંઘના કાર્યકર્તા, રાજેશભાઇ પટેલ, વલ્લભભાઇ બાબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઇ રાવલે પ્રથમ SGVP ગુરુુકુલનો અને સ્વામીજીનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ૨૦૦ મંદિરોના સાધુ સંતો રામમંદિર નિર્માણ માટે ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે તેનો અમને ખૂબજ આનંદ છે.
સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આજે આ અર્પણ વિધિમાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના ટોચના કાર્યકર્તાઓએ હાજર રહીને સેવા સ્વીકારી તેથી અમો સદભાગી છીએ.
ભગવતી સીતાજી લક્ષ્મી સ્વરુપા છે અને મા લક્ષ્મી ભકતોની તિજોરીઓ છલકાવી દે, ત્યારે આવી સત્ કાર્યની ઝોળીમાં પુષ્પાંજલિ અર્પણ કરવી એ આપણું કર્તવ્ય છે.
ભગવાનનું છે ને ભગવાને અર્પણ કરવાનું છે. SGVPગુરુકુલની સેવા શ્રી રામ લાલા સ્વીકારે એ સમગ્ર ગુરુકુલ પરિવારનું સદ્ ભાગ્ય છે.
અમને વિશ્વાસ છે કે ગુજરાતની ધર્મપ્રેમીઓએ રામલાલાના મંદિર નિર્માણમાં તન, મન અને ધનની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી.
અયોધ્યા ખાતે સાકાર થઇ રહેલ રામ મંદિર એટલે રામરાજ્યનું પ્રતિક. ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં અેકતાનું પ્રતિક, ભારતીય સમાજમાં સમરસતાનું પ્રતિક.
વિષેશમાં SGVP ગુરુકુલ તરફથી જે નિધિ અર્પણ થઇ એ ઉપરાંત સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી આજના સંક્રાન્તિના મંગળ પર્વે નાનામાં નાના ગુરુકુલના કર્મચારીઓ, રસોયાઓ, ખેતીવાડીમાં કામ કરનારા મજુરો વગેરે એ પણ સર્વેએ યથાશક્તિ દાન કર્યું હતું.
નાનામાં નાના માણસોએ હ્રદયથી કરેલ આ દાનનું મૂલ્ય રુપિયામાં આંકી શકાય તેમ નથી.