સુરતનો દર્દનાક કિસ્સો: કામરેજમાં મધ્ય રાત્રીએ બે સગા ભાઈઓની લાકડાના ફટકા મારી કરપીણ હત્યા
સુરત: શહેરમાં ફરી એકવાર રક્તરંજિત બન્યું છે. અને તે પણ ઉત્તરાયણના દિવસે. સુરતના કામરેજ વિસ્તારના અમૃતનગરમાં ઉત્તરાયણની મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પૈસાની લેતી-દેતીમાં બે સગાં ભાઈઓની સનસનીખેજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે એક યુવકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કામરેજના અમૃતનગરમાં મૂળ ઈલ્હાબાદના બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ રહેતા હતા. અને આ બંને ભાઈઓ કામરેજમાં જ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન મોડી રાત્રે નજીકના રૂમમાં રહેતાં અને ગામના જ ઈસમોએ પૈસાની લેતીદેતી મામલે તેઓ સાથે ઝઘડો કર્યો હતો. અને બાદમાં ભેગાં મળીને તેઓ લાકડાનાં ફટકાં મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.