ગુજરાત
News of Wednesday, 15th January 2020

સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડ

ગુજરાત સરકારનાં પ્રથમ દરજ્જાનાં જળ વ્યવસ્થાપનને કારણે મળી વધુ એક ગૌરવસિદ્ઘિ : વિજયભાઈ રૂપાણીએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એક માસમાં બે ગૌરવ સન્માન ગુજરાતને અપાવ્યા

ગાંધીનગર, તા. ૧પ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં જળસંગ્રહ માટે શરૂ કરાયેલા જનભાગીદારી પ્રયોગ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એક માસમાં બે ગૌરવ સન્માન ગુજરાતને અપાવ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં રાજયવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન જનભાગીદારીથી શરૂ કરવામાં આવેલું. આ અભિયાનની પ્રથમ વર્ષની સફળતાને પગલે ૨૦૧૯ના વર્ષમાં પણ યથાવત રાખવામાં આવ્યું હતું. આ જળ અભિયાને ગુજરાતમાં જળસંગ્રહ ક્ષમતામાં ક્રાંતિકારી પરિણામો સજર્યા છે તો બીજી તરફ ગુજરાત સરકારના જળસંપત્ત્િ। વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સફળ અમલીકરણ માટે અપાતાં સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેકટ દ્વારા ગુજરાત સરકારને આ સન્માન આપવામાં આવ્યું હતું. આદિજાતિ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઉભી કરનારી આ યોજના તેના નિર્ધારિત સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરાઈ હતી.

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત બે વર્ષ દરમિયાન રાજયભરમાં ૩૦૪૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. ૧૨૨૭૯ તળાવો ઊંડા કરવાના, ૫૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો તેમજ ૩૫૯૬૦ કિ.મી.નાં કેનાલ સાફ-સફાઈનાં કામો દ્વારા ૨૩૫૫૩ લાખ કયુબિક ફિટ માટી કાઢવામાં આવી છે તેમજ ૩૩૨૧ કિ.મી.નાં ડ્રેઈન વર્ક પૂર્ણ થયા છે. આના પરિણામે ૧૦૦ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ થવા પામ્યું છે અને સમગ્રતયા રાજયમાં ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવા પામ્યો છે. એટલું જ નહીં આ અભિયાન અન્વયે એક જ દિવસમાં ૪૬૯૯ એક્રાડાવેટર્સ અને ૧૫૨૮૦ ટ્રેકટર ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના ૮ હજારથી વધુ ગામોમાં આ અભિયાન જન સહયોગથી ઉપાડીને ચોમાસા પહેલા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારા ચોમાસાને પરિણામે અને આ સુજલામ-સુફલામ જળ અભિયાનની ફલશ્રૃતિએ ૬૨થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભજળ ૧થી ૩ મીટર જેટલા ઊંચા આવ્યા છે. આ ગૌરવપૂર્ણ અને સફળ કામગીરીની નોંધ લઈને સ્કોચ પ્લેટિનમ એવોર્ડથી આ યોજનાને સન્માનિત કરવામાં આવી છે. સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જળ વ્યવસ્થાપન સંબંધિત અગત્યનાં પહેલુઓ ડિસ્ટ્રીબ્યુટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ઈન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ, વોટર યુઝ એફિસીયન્સી વગેરેના પ્રદાનને ધ્યાને લઈને આ સ્કોચ પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કડાણા-દાહોદ લિફ્ટ ઈરીગેશન સ્કીમને બેસ્ટ ઈમ્પલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સીસ પ્રોજેકટ એવોર્ડ આ યોજના સમયાવધિની પહેલા પૂર્ણ કરવા માટે મળ્યો છે. તદઅનુસાર, આદિજાતિ વિસ્તાર દાહોદ અને મહિસાગર જિલ્લાનાં સિંચાઈથી વંચિત વિસ્તારોને કડાણા જળાશય આધારિત આ લિફ્ટ ઈરિગેશન યોજના રૂ. ૧૦૫૪ કરોડના ખર્ચે સાકાર કરીને લિફ્ટ ઈરીગેશનનો લાભ આપવામાં આવ્યો છે. આ હેતુસર મહિસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકાનાં નાની કયાર ગામેથી પાણી ઉદવહન કરીને આ બંને જિલ્લાઓમાં આવેલી નાની સિંચાઈ યોજનાના તળાવો તેમજ હયાત નાળાઓમાં પાણી છોડીને અને ચેકડેમ તથા ગામ તળાવો ભરીને સિંચાઈનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આના પરિણામે ૨૪૭૭૫ એકર જેટલાં વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. આ ઉપરાંત પાંચ મધ્યમ સિચાઈ યોજનાઓના જળાશયોમાં પણ પાણી ભરવાનું આયોજન છે. આ ઉદવહન સિંચાઈ યોજનાથી આદિજાતિ વિસ્તારના ૫૮ ગામ તળાવો, ચેકડેમ, કાંસ વગરેને પાણીથી ભરવામાં આવ્યા છે અને ૨૦૯ ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો છે. આ યોજના માટેનું કામ જૂન-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી. પરંતુ જળસંપત્ત્િ। વિભાગના સદ્યન પ્રયાસો અને પ્રોએકિટવ એપ્રોચથી આ યોજના નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે ડિસેમ્બર-૨૦૧૯માં પૂર્ણ થઈ છે. આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના પાંચ હજાર ખેડૂત પરિવારોને ખરીફ અને રવિ એમ બે મોસમ માટે વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા મળતી થઈ છે.

(3:53 pm IST)