ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરશે: ૩૧ ડિસેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે
પહેલી જાન્યુઆરીથી ખરીદી માટે 96 કેન્દ્રો મજૂરી મળ્યેથી શરુ કરાશે
અમદાવાદ : ગુજરાત સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. તે માટે ખેડૂતોએ i - pds પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન તા. ૦૧/૧૨/૨૦૧૯ થી શરૂ કરી તા. ૩૧/૧૨/૨૦૧૯ સુધી કરી શકાશે. રાજ્યમાં તા.૧/૧/૨૦૨૦થી તુવેરની ખરીદી માટે ૯૬ કેન્દ્રો કેન્દ્ર સરકારની મંજૂરી મળેથી શરૂ કરાશે.
રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ ચાલુ વર્ષમાં તુવેરના વાવેતરના ઉલ્લેખ સાથેના નમૂના ૭/૧૨, ૮એ, આધાર કાર્ડ તથા બેન્કની વિગતો રજૂ કરવાની રહેશે . ૭/૧૨ માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગે તલાટી અથવા ગ્રામ સેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તુવેરનો જથ્થો ભારત સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ અનુસાર ફેર એવરેજ ક્વોલિટી મુજબનો ખરીદવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા kms-૧૯માં લઘુતમ ટેકાના ભાવે તુવેર રૂા.૫૮૦૦/- પ્રતિ ક્વિન્ટલ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે ગુજરાત રાજ્યની નાગરીક પુરવઠા નિગમ લી.ના તાલુકા ગોડાઉનના મેનેજર તથા જિલ્લા કચેરીના નાયબ જિલ્લા મેનેજરનો સંપર્ક કરવો. આ ઉપરાંત વધુ માહિતી માટે હેલ્પ લાઇન નંબર- ૮૫૧૧૧ ૭૧૭૧૮-૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.