કોંગ્રેસ ચૂંટણી પંચ ઉપર હારનુ ઠીકરુ ફોડવા માંગે છે : ભાજપ
કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમીશન પરના આક્ષેપો ગંભીરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને હરકત સાથે સરખાવી લોકશાહીના મુલ્યોનુ કોંગી દ્વારા અપમાન કરાઈ રહ્યું છે
અમદાવાદ, તા.૧૪, ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે આજે પત્રકારોને સંબોધતા કહ્યુ કે,કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રવકતા રણદિપ સૂરજેવાલાએ ચૂંટણી કમીશન ઉપર જે આરોપો લગાવ્યા છે એ દુર્ભાગ્યપૂર્ણ છે અમારી પાર્ટી આવા બેબુનિયાદ આરોપોને લોકશાહી માટે ઘાતક માને છે.રાજયસભાની ચૂંટણી વખતે કમીશને નિર્ણય આપ્યો હતો તે સમયે કોંગ્રેસે કહ્યુ હતુ કે,ચૂંટણી કમીશન નિષ્પક્ષ છે.આજે જયારે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે ત્યારે પ્રથમ તબકકાની ચૂંટણીમા માત્ર એક જ કલાકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઈવીએમ મશીન પર કાગારોળ મચાવી દીધી હતી.આજે બીજા તબકકાની ચૂંટણીમા ભારે ભાજપ તરફી મતદાનના કારણે કોંગ્રેસને લાગી રહ્યુ છે કે,તેમની દાળ અહી ગુજરાતમા ગળવાની નથી માટે તે ચૂંટણી કમીશન પર ખોટા નિરથર્ક આક્ષેપો લગાડી રહ્યા છે.સૂરજેવાલે જાણીજોઈને વડાપ્રધાનનુ અપમાન આજે ફરી વખત કર્યુ છે તેમણે વડાપ્રધાનના મતદાનને હરકત સાથે સરખાવીને લોકશાહીના મુલ્યોનુ અપમાન કર્યુ છે.કોંગ્રેસ માટે આજે તેમની રસ્સી બળી ગઈ છે પણ હજુ તે વળ લગાવી રહ્યા છે તેમણે કહ્યુ,કોંગ્રેસે ૧૯૭૫મા લોકશાહીની હત્યા કરી દેશમા કટોકટી લાદી હતી કોંગ્રેસ જયારે પણ સત્તામા રહી છે તેમણે બંધારણીય સત્તાનો દુરપયોગ કર્યો છે.તે બેધારી નીતી અપનાવે છે કોંગ્રેસના નવા નિમાયેલા અધ્યક્ષના માથ ઠીકરુ ફોડવુ ન પડે એ માટે પાણી પહેલા પાળ બાંધી ચૂંટણી કમીશનર ઉપર હારનુ ઠીકરુ ફોડવા માગે છે. ૨૦૧૪ પછી જયા પણ ચૂંટણીઓ યોજાઈ છે ત્યાં કોંગ્રેસ હારી છે માત્ર તેઓ એકલા લડતા હોય ત્યાં જ જીતી શકે છે.બંધારણીય સંસ્થાઓની મર્યાદા,ગરીમા અને લોકશાહીને મજબૂત કરવુ એ કોઈપણ રાજકીય પક્ષનુ કામ છે ત્યારે કોંગ્રેસ આવા નિવેદનો કરે છે જે ખુબ જ નિંદનીય છે કોંગ્રેસ માટે દ્રાક્ષ ખાટી જેવા ઘાટની સ્થિતિને લઈ ખોટા આરોપો લગાવી રહ્યા છે કોંગ્રેસના આવા આરોપો,બેધારીનીતીની ભાજપ નિંદા કરે છે.