હિરાબાએ ગાંધીનગરમાં અને આનંદીબેને શીલજમાં કર્યુ મતદાન : હાર્દિકના માતા - પિતાએ કુળદેવીના આર્શીવાદ લઈ મતાધિકારનો ઉપયોગ કર્યો
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે નેતા, અભિનેતા સહિતના લોકો પણ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય નેતાઓ સાથે સંકળાયેલા પરિવારના લોકો પણ વોટ આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પસંદગીના ઉમેદવારને જીત અપાવવા માટે મતદાન બૂથ સુધી પહોંચી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે ગાંધીનગરમાં મતદાન કર્યું હતું. તેમણે મત આપ્યા પછી કહેલ કે હે ભગવાન, ગુજરાતનું ભલુ કરો...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. તેમણે શીલજ ગામમાં આવેલી શીલજ પ્રાથમિક શાળામાં જઈને પોતાનો કિંમતી વોટ પોતાના પસંદગીના ઉમેદવારને આપ્યો હતો. પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલના માતાપિતાએ વોટ આપવા જતા પહેલા પોતાના કુળદેવીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ વોટ આપવા નીકળ્યા હતા. હાર્દિક પટેલ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે વિરમગામ જવાનો છે.