નજીવી બાબતમાં જ ભાઈએ જ ભાઈની ઘાતકી હત્યા કરી
ગુનાહિત રસ્તો છોડવાનું સમજાવનાર ભાઇની હત્યા : હળહળતા કળિયુગની ઉક્તિ સાર્થક કરતો કિસ્સો : રિપોર્ટ
અમદાવાદ, તા.૧૪ : સુરતના કતારગામ અને રાંદરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાને પોતાના સગા ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોતના પગલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ સાથે પંદર દિવસ પહેલા ગુનાહિત રસ્તો છોડવાનું કહેતા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ(ઉ.વ.૩૮) પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આજે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કોઝવે નજીક નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. અને આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
ત્યારબાદ આરીફ મંડળી ભાગી ગઈ હતી. ઘર નજીક જ હુમલો થતા લોકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ૧૫ દિવસ પહેલા આરીફ અને અલ્તાફ વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જો કે, અલ્તાફ આરીફને મોતને ઘાટ ઉતારવાનું પગલું ભરશે તેનું વિચાર્યું ન હતું. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.