ગુજરાત
News of Thursday, 14th October 2021

હવેથી તલાટીઓની ઓનલાઇન હાજરી પુરાશે:રાજ્યની તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવા નિર્ણય

તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરીની મળતી ફરિયાદને કારણે પંચાયત વિભાગનું કડક વલણ

અમદાવાદ :  રાજ્યમાં ફરજ બજાવતા તલાટી, તલાટી કમ મંત્રીઓની ગેરહાજરીની ફરિયાદ મળતી રહે છે. કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે. અરજદારોની ફરિયાદ આધારે પંચાયત વિભાગે વિચારણા બાદ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની તમામ પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાશે. આ બાયોમેટ્રિક સિસ્ટમથી ઓનલાઇન હાજરી પૂરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવાનો નિર્ણય લીધો હતો. જેનો રાજ્યના તલાટી મંત્રીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અલગ અલગ કારણો આપીને તલાટી મંત્રીઓએ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જોકે સતત મળતી તલાટી, તલાટી કમ મંત્રીની ગેરહાજરી અને કામચોરીની ફરિયાદો બાદ પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યું છે.

(12:36 pm IST)