ગુજરાત
News of Friday, 14th September 2018

આગ્રાને વર્લ્ડ હેરીટેજ સીટીમાં સ્થાન અપાવવા માટે અમદાવાદ પાસેથી પ્રક્રિયા સમજવી જોઇઅે : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદની મુલાકાતે આગ્રાની ટીમ

અમદાવાદ: મુઘલ શાસક શાહજંહાએ અમદાવાદના ઈસ્લામિક આર્કિટેક્ચરમાંથી પ્રેરણા લીધી હતી તે બાબતનો ઘણી વખતે ઈતિહાસકારો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તાજમહેલ બનાવ્યો તેના ઘણા વર્ષો પહેલા લગભગ 1618માં શાહજહાં ગુજરાતના શાસક હતા. હવે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ આપ્યા છે કે આગ્રાને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન અપાવવા માટે અમદાવાદ પાસેથી પ્રક્રિયા સમજવી જોઈએ.

11 સપ્ટેમ્બરે આગ્રા કોર્પોરેશનના યૂપી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને સંરક્ષણના એક્સપર્ટની ટીમ અમદાવાદની બે દિવસીય મુલાકાતે હતી. ટીમે ડોઝિયર બનાવવાથી લઈને હેરિટેજ માટેના પેટા નિયમો અને હેરિટેજ મેનેજમેન્ટ પ્લાન અમલમાં કઈ રીતે મૂકવો તેની પ્રક્રિયાની સમજ મેળવી. 7 જુલાઈ 2017ના રોજ અમદાવાદને દેશની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. શાહજહાંએ પોતાના જીવનનું સૌપ્રથમ સ્મારક અમદાવાદમાં બનાવ્યું અને તે છે શાહીબાગમાં આવેલો મોતી શાહી પેલેસ.

ડેલિગેશન સાથે અમદાવાદ આવેલા આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મ્યુનિસિપલ કમિશ્નર વિજય કુમારે જણાવ્યું કે, “સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમે અમદાવાદમાં આગ્રાને વર્લ્ડ હેરિટેજ સિટીનો ટેગ કઈ રીતે અપાવવો તેની પ્રક્રિયા સમજવા આવ્યા છીએ.” સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને નિર્દેશ આપ્યા છે કે, તાજમહેલના સંરક્ષણ માટે આગ્રાને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવા પ્રયાસ કરવો જોઈએ. સાથે તાજ ટેપોઝિયમ ઝોન માટે દસ્તાવેજો તૈયાર કરવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્દેશોમાં વારંવાર ઉલ્લેખ કર્યો કે, “અમને જણાવાયું કે એક વખત કોઈ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળે પછી તેને આધુનિક બનાવી શકાય. અમદાવાદને તાજેતરમાં હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે તો પછી આગ્રાને ટેગ મેળવવામાં શું વાંધો છે? અમદાવાદ પણ આધુનિક શહેર છે અને તેમાં આધુનિક સુવિધાઓ પણ છે.” બુધવારે સેપ્ટ યુનિવર્સિટીમાં આગ્રાના ડેલિગેશનની સાથે સેપ્ટના પ્રોફેસર શાશ્વત બંધોપાધ્યાય, AMCના પીવીકે નાયર અને હેરિટેજ કઝર્વેશન કમિટી (HCC)ના ચેરપર્સન પી.કે. ઘોષે મીટિંગ કરી.

સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં ઉલ્લેખ છે કે, મુઘલકાળ દરમિયાન આગ્રા મહત્વનું શહેર રહ્યું છે. અમદાવાદની જેમ આગ્રા પણ જૂના અને નવા સ્થાપત્યો માટે ગર્વ લે છે. ત્યારે હેરિટજ માટે આગ્રા ડોક્યુમેન્ટેશન કરે તે સમયે ટેન્જીબલ અને ઈન્ટેજીબલ વારસાને પણ ધ્યાનમાં લે.” આગ્રાના ડેલિગેશનની ટીમે મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા સાથે મુલાકાત કરી સાથે શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી. વિજય નહેરાએ કહ્યું કે, “તેમને પ્રક્રિયા સમજાવવા ઉપરાંત સંરક્ષણ માટેના સંસ્થાગત પ્રયાસો અને સ્થાનિક લોકોમાં વારસા પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરવાની સલાહ આપી.”

(4:39 pm IST)