ગુજરાત
News of Friday, 14th September 2018

સુરતઃ ૧૮ વર્ષના યુવકના હૃદય-કિડની-લીવર અને ચક્ષુદાનની ૬ વ્યકિતઓને નવજીવન

સુરતથી નવી દિલ્હીનું ૧૧૫૮ કિ.મી.નું અંતર ૧૭૭ મીનીટમાં કાપી હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ થયુ

સુરત, તા.૧૪: સુરત શહેરમાંથી ૧૯મા હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી ૬ લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરાના અંગોનું દાન કરી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે. જયારે યુવકના હ્રદયને નવી દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. હ્રદયને સુરતથી નવી દિલ્હીનું ૧૧૫૮ કિમીનું અંતર ૧૭૭ મિનિટમાં કાપી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

ઉધના વિસ્તારમાં આવેલા ઓમશ્રી સાંઈ જલારામ નગરમાં મૂળ અમદાવાદ જિલ્લાનો મિહિર ભારતભાઈ પટેલ (ઉ.વ.૧૮) પરિવાર સાથે રહેતો હતો. અને મોરાભાગળ હજીરા રોડ ઉપર આવેલા આઈટીઆઈમાં ડિઝલ મિકેનીકલના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગત ૧૦ સપ્ટેમ્બરના મિહિર સાંજે ૪.૩૦ કલાકે પરીક્ષા આપીને કોલેજથી બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે હજીરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલપંપ પાસે એક ડમ્પર ચાલકે ઓવરટેક કરવા જતા બાઈકને ટક્કર લાગતા મિહિર બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. તેને તાત્કાલિક સનસાઇન ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું . અને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

હ્રદય દિલ્હી, કિડની-લિવર અમદાવાદ મોકલાયું

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. જયારે હ્રદયના દાન માટે ગુજરાતની હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈપણ દર્દીના હોવાને કારણે ગુજરાતની ટ્રાન્સપ્લાન્ટ ઓર્થોરાઈઝેશન કમિટીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ROTTO મુંબઈનો સંપર્ક કર્યો હતો. ROTTO મુંબઈ દ્વારા જુદા જુદા રાજયોનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ ત્યાં કોઈ દર્દી ન હોવાને કારણે દિલ્હીમાં NOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. NOTTO દ્વારા હ્રદય નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલની ટીમે સુરત આવી હ્રદયનું દાન સ્વીકાર્યું હતું. જયારે અમદાવાદની ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસ અને રિચર્સ સેન્ટરની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

(3:39 pm IST)