નારોલ શાહવાડી પાસે યુવકની લાશ મળી : હત્યા થયાની શંકા
તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાયાની શંકા : લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળતાં સ્થાનિકો પણ ફફડ્યા : નારોલ પોલીસની કેસમાં વધારે ચકાસણી શરૂ
અમદાવાદ, તા.૧૩ : શહેરના નારોલ વિસ્તારમાં આવેલ શાહવાડી પાસે આજે વહેલી સવારે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી આવતાં સ્થાનિકો પણ ફફડી ઉઠયા હતા. યુવકને કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઘા કે પછી કોઇ અન્ય વસ્તુથી ઇજા પહોંચાડીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસને આશંકા સેવી છે. નારોલ પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નારોલ વિસ્તારમાં આવેલ શાહવાડી પાસે સવારે એક યુવકની લાશ મળી આવી હતી. કોઇ સ્થાનિક શાહવાડીથી પસાર થતો હતો ત્યારે તેને યુવકની લાશ જોઇ હતી. લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ જોતાંની સાથે સ્થાનિક રહીશે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલરૂમે નારોલ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જાદવના જણાવ્યા અનુસાર યુવકને આડેધડ છરીના ઘા ઝીંકીને અથવા તો કોઇ પણ ધારદાર હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મરનાર યુવક કોણ છે તે હજુ જાણી શકાયું નથી. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા પાછળ કોઇ અંગત અદાવત હોય તેવું પોલીસ માની રહી છે. પોલીસે યુવકની ઓળખની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે.