ગુજરાત
News of Friday, 14th September 2018

સુરતના માંડવીમાં મૌલવી ઉપર પત્નીએ સૃષ્‍ટિ વિરૂદ્ધના કૃત્યનો આરોપ મુક્યા બાદ હાઇકોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન નામંજૂર

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દ.ગુજરાતના એક મૌલવીને પોતાની પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના આરોપમાં આગોતરા જામીન આપવાની ના પાડી દીધી છે. સોમવારે સુરતના જિલ્લાના માંડવી ગામના રહેવાસી મૌલવીના આગોતરા જામીન અરજી ઠુકરાવી દેતા જસ્ટિસ એ.વાય. કોગજે કહ્યું કે, ‘કોર્ટ પ્રાથમિક માહિતીના આધારે માની રહી છે કે આરોપીના પત્નીએ લગાવેલ આરોપના કારમે આરોપી સામે કલમ 377 અંતર્ગત ગુનો બની શકે છે. તેવા સમયે આરોપીના ફેવરમાં નિર્ણય આપી શકાય નહીં.’

ગત વર્ષે પોતાના પડોશમાં રહેતી 25 વર્ષીય યુવતી સાથે મૌલવીએ નિકાહ કર્યા હતા. મૌલવીના આ ત્રીજા નિકાહ હતા અને આ પહેલાના બંને નિકાહ પણ અસ્તિત્વમાં હોવાથી યુવતીના પરિવારને મંજૂર નહોતું કે તે મૌલવીની ત્રીજી પત્ની બને. પરંતુ યુવતી મૌલવીની વાતમાં આવીને લગ્ન માટે રાજી થઈ ગઈ હતી. જોકે લગ્નના થોડા મહિના બાદ જ મહિલાએ પોતાના માતા-પિતાને ફરિયાદ કરી કે તેનો પતિ તેની સાથે જબરજસ્તીથી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરે છે.

જે બાદ ગત એપ્રીલ મહિનમાં પરણિતા માંડવી પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ ક્રુરતા, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, દહેજ સહિતના આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. તેમજ તેણે કહ્યું કે તેના પતિની ત્રણ પત્નીઓ છે અને દરેકને અલગઅલગ જગ્યાએ રાખી છે. જે બાદ પોલીસે FIR નોંધી મે મહિનામાં મૌલવી વિરુદ્ધ કલમ 498A, 377 અને 323 તેમજ દહેજ વિરોધી કાયદા અંતર્ગત ફરિયાદ નોંધી હતી.

જે બાદ મૌલવીએ બારડોલી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ તેને સ્થાનિક કોર્ટે કોઈ રાહત આપી નહોતી. જે બાદ મૌલવીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમના વકીલે દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટ મૌલવી ફક્ત કલમ 498A અંતર્ગત જ ગુનાનો કેસ બને છે. બાકી સમગ્ર મામલાને વધુ રંગ આપવા માટે મહિલાએ સૃષ્ટી વિરુદ્ધના કૃત્યની વાત ઉપજાવી કાઢી છે. તેમણે કહ્યું કે જો કોર્ટ આ રીતે મહિલા દ્વારા લગાવલ દરેક ખોટા આરોપને માની લેશે તો કોઈ પુરુષ સુરક્ષિત નહીં રહે. જોકે કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી નહોતી.

(5:02 pm IST)