બોરસદમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ 1.72 લાખની મતાની ઉઠાંતરી કરી
બોરસદ:શહેરની રાઠોડ ચોકડી પાસે આવેલા આદિનાથ ડુપ્લેક્ષમાં રહેતા એક નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરના ઘરના ચાલી રહેલા રીનોવેશનના કામકાજ દરમ્યાન ઉપલા માળે ઘુસી ગયેલા કેટલાક શખ્સો તાળા તોડી/ખોલીને તેમાંથી ૧.૭૨ લાખ ઉપરાંતની મત્તાના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી જગદીશભાઈ હિંમતભાઈ ચૌહાણ પોતાની પત્ની સાથે બોરસદની રાઠોડ ચોકડી, સો ફુટના રોડ ઉપર આવેલા આદિનાથ ડુપ્લેક્ષમાં એ/૨૧ નંબરના મકાનમાં રહે છે. તેઓએ મકાનનું કલરકામ, ઈલેક્ટ્રીક, પ્લંબીંગ, તેમજ ટાઈલ્સ બેસાડવાનું કામકાજ ચાલુ કર્યું હોય બધો સામાન ઉપલા માળે આવેલા ત્રણ રૂમોમાં સીફ્ટ કરી દીધો હતો અને તેઓ સામે આવેલા મકાનમાં રહે છે. ગત ૧૧મી તારીખના રોજ વહેલી સવારના સુમારે તેઓ મોટા મહાદેવ ખાતે આરતીમાં ભાગ લેવા માટે ગયા હતા અને પોણા છ વાગ્યાના સુમારે પરત આવીને રીનોવેશન થતાં ઘરમાં જોવા માટે ગયા હતા જ્યાં ઉપલા માળના મુખ્ય દરવાજાનું તાળુ ખોલીને નીચે મૂકેલું જોતાં જ તેઓ દરવાજો ખોલીને અંદર ગયા હતા. બીજા રૂમનું પણ તાળુ ખોલીને નીચે મૂકેલું હતુ જ્યારે ત્રીજા રૂમના દરવાજાનો નકુચો તોડી નાંખ્યો હતો. તેમાં તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને અંદરનો બધો સામાન વેરવિખેર હતો.