સી.બી.એસ.ઈ.ની પરીક્ષા ફીમાં તોતીંગ વધારો શિક્ષણનો હક્ક છીનવવા જેવુ પગલુ
લાખો વિદ્યાર્થીઓના પ્રશ્ને સરકારને ઝાટકતા ડો. મનીષ દોશી
અમદાવાદ, તા. ૧૪ :. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચીત જનજાતિના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં અઢીસો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે સામાન્ય વર્ગના લાખો વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં બમણો વધારો ઝીંકવામાં આવ્યો છે. કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સામાન્ય, દલિત, આદિવાસી સહિતના ધોરણ ૧૦ના ૨૭ લાખ અને ધોરણ ૧૨ના ૩૧ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના હકને છીનવી લેવાના અસંવેદનશીલ નિર્ણયને તાત્કાલીક પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યુ છે કે કેન્દ્રની મોદી સરકારની નીતિ અને નિયતના કારણે દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓ સિધો ભાગ બની રહ્યા છે.
થોડાક લોકોનો વિકાસ અને ગરીબો અને સામાન્ય શોષીત વર્ગની સાથે વિશ્વાસઘાત ભાજપ સરકારની નિયત અને નીતિ છે. સબ કા સાથ સબકા વિકાસની સરકારી ખર્ચે મોટી મોટી જાહેરાતો, ભાષણમાં બુમ બરાડા અને કરેલી વાતોના જમીન પર કે ના કાગળ પર, ભાજપ સરકારના એક પછી એક પગલાથી દેશમાં સતત અસમાનતામાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે. સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના કુલ ૫૮ લાખ વિદ્યાર્થીઓ પર પરીક્ષા ફી ના જંગી વધારા ઝીંકવા સાથે દલિત, આદિવાસી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શિષ્યવૃતિમાં પણ કેન્દ્રની ભાજપ સરકારે મોટા પાયે ઘટાડો કર્યો છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધો. ૧૦ પછી કેન્દ્ર સરકાર દ્વારા અપાતી શિષ્યવૃતિમાં ૩૦૦૦ કરોડ રૂપિયાનો મોટાપાયે ઘટાડો કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના પીએચ.ડી.ની શિષ્યવૃત્તિમાં ભાજપ સરકારે ૪૦૦ કરોડનો ઘટાડો કર્યો છે. ધો. ૧૦ અને ધો. ૧૨ના સામાન્ય દલિત, આદિવાસી સહિતના ૫૮ લાખ વિદ્યાર્થીઓ પર કેન્દ્ર સરકાર દ્વારા ઝીંકાયેલ પરીક્ષા ફી વધારો તાત્કાલીક પરત ખેંચવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ માંગ કરી છે