મહેસાણા બાયપાસ નજીક માર્ગ-મકાનના જપ્તી વોરંટથી હોબાળો મચ્યો
મહેસાણા:બાયપાસ રોડ યોજના અંતર્ગત પાંચોટના ખેડૂતોની જમીન સંપાદન કરવાના કેસમાં અસરગ્રસ્ત ખેડૂતોને વ્યાજ સહિત વધારાની રકમ ચુકવવામાં વિલંબ થતાં અદાલતે મહેસાણા સ્થિત માર્ગ-મકાન વિભાગની કચેરીનું જપ્તી વોરંટ ઈશ્યુ કર્યું હતું. તે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. જોકે, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે ૬૦ દિવસમાં અસરગ્રસ્ત ખેડૂતોને વધારાનું વળતર ચુકવી દેવાની લેખિત બાંહેધરી આપતાં સમગ્ર મામલો થાળે પડયો હતો.
આ કેસની ટૂંકી વિગત પ્રમાણે, મહેસાણા બાયપાસ રોડ યોજના અંતર્ગત માર્ગ-મકાન વિભાગ દ્વારા પાલોદર, પાલાવાસણા, નુગર, પાંચોટ, ગીલોસણ, દેદિયાસણ, હેડુવા રાજગર, સુખપુરડા સહિત ગામોના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી.
અસરગ્રસ્ત ખેડૂતોને મુલ્યાંકન સમિતી દ્વારા નક્કી કરવામાં આવેલા ૧ ચો.મી.ના રૂ.૯૧ તેમજ રૂ.૧૧૮ના જમીનના ભાવ પ્રમાણે વળતર ચુકવવામાં આવ્યું હતું. જોકે પોતાની સાથે થયેલા અન્યાયના મુદ્દે પાંચોટના અરજદાર શંકરજી હિરાજી ઠાકોર સહિત ૧૧૧ અસરગ્રસ્ત ખેડૂતોએ મહેસાણાના ત્રીજા એડીશનલ સિનીયર સિવિલ જજની કોર્ટમાં ધા નાખી હતી.