ગુજરાત
News of Saturday, 14th July 2018

મોસાળમાં ભાણિ-ભાણિયાનું કરાયેલું ભવ્યાતિભવ્ય મામેરૃં

જગન્નાથ, સુભદ્રા, બલરામના મોસાળમાં વધામણાં : સોના-ચાંદીના દાગીનાઓ અને અલકાંરિક વસ્ત્રો સહિત ઝીણામાં ઝીણો સાજ-શણગાર અર્પણ કરવામાં આવ્યો

અમદાવાદ, તા.૧૪ : ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની ૧૪૧મી રથયાત્રા આજે બપોરે એક વાગ્યે સરસપુર ખાતેના મોસાળમાં આવી પહોંચી ત્યારે પહેલેથી જ ચાતક નજરે રાહ જોઇને બેઠેલા હજારો શ્રધ્ધાળુ ભકતો પ્રભુ પધાર્યાની લાગણી સાથે ભારે હર્ષોલ્લાસ અને ખુશીથી ઝુમી ઉઠયા હતા. મોસાળમાં ભગવાનની એક ઝલક જોઇને ભકતો ખાસ કરીને મહિલાઓ-વૃધ્ધો જાણે ભાવવિભોર બન્યા હતા. હજારો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ભારે હેત અને પ્રેમ સાથે વધામણાં કર્યા હતા. ઢોલ-નગારા, કરતાલ-મંજીરાની રમઝટ અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ભારે રંગેચંગે અને વાજતે ગાજતે ભાણિ-ભાણિયાઓનું ભવ્યાતિભવ્ય મામેરું કરવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ થતા મામેરાના દર્શન માટે આજે સરસપુર રણછોડજી મંદિર ખાતે અને જાગનાથ મહાદેવ ચોક,સરસપુર કે જયાં ત્રણેય રથો ઉભા રખાય છે ત્યાં હજારો શ્રધ્ધાળુ ભકતોએ હરખઘેલા બની જોરદાર પડાપડી કરી હતી. વર્ષો બાદ આ વખતે ભગવાનનું મામેરું કરવાનો અવસર ખુદ સરસપુરના બારોટ પરિવારને પ્રાપ્ત થયો હતો. ખુદ મોસાળિયા દ્વારા જ ભાણિ-ભાણિયાઓનું મામેરું કરવાનું હોઇ મોસાળમાં હજારો શ્રધ્ધાળુ ભકતોમાં આ વખતે અનરો ઉત્સાહ અને ભકિતભાવ જોવા મળતો હતો. ભગવાનનું મોસાળ સરસપુર છે, ત્યારે સૌપ્રથમવાર સરસપુરવાસીઓને મામેરું કરવાનો લહાવો મળ્યો છે. ભગવાનના ભવ્ય મામેરા ટાણે રણછોડજી મંદિરમાં જય જગન્નાથ, જય રણછોડ, માખણચોર સહિતના ભગવાનના પોકાર અને નારા ગુંજી ઉઠયા હતા. મામેરાના દર્શન કરી શ્રધ્ધાળુ ભકતોએ ભારે ધન્યતા અનુભવી હતી. ભગવાનના મામેરામાં મૂકાયેલા સોના-ચાંદીના દાગીનાથી માંડી અલંકારિક અને રંગેબરંગી વાઘા-વસ્ત્રો અને સાજ-શણગાર સૌકોઇના મન મોહી લેતા હતા. મોસાળમાં ભકિતસભર અને ઉત્સાહના દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમ્યાન રણછોડજી મંદિરના મહારાજ ધીરૂભાઇ કાપડિયા અને જાગનાથ મહાદેવના ટ્રસ્ટી વિપુલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ વખતે ભગવાનને નવી જ ડિઝાઇનના સોના-ચાંદીના દાગીના, હાર સહિતના ઘરેણાં ઉપરાંત રંગબેરંગી અને અંલકારિક વાઘા-વસ્ત્રો મામેરામાં અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રને સોનાનો ઢોળ ચઢાવેલા સુંદર ચાંદીના હાર, કાનની બુટ્ટી, ચુની, વીંટી સહિતના દાગીના ઉપરાંત બહેન સુભદ્રાજી માટે ખાસ પાર્વતી શણગાર ઉપરાંત કલરફુલ ડિઝાઇનમાં અલંકારિક વસ્ત્રો અને વાઘા સહિતનો ઝીણામાં ઝીણો સાજ-શણગાર ભાણિ-ભાણિયાઓને અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યજમાન ધીરુભાઈ અને મીનાબહેન બારોટે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી ભગવાનનું મામેરું કરવાની ઈચ્છા હતી. તે સમયે નાણાકીય સ્થિતિ એવી નહોતી કે મામેરું કરી શકાય. ભગવાન રણછોડરાયે ૧૮ વર્ષે ઈચ્છા પૂરી કરી એટલું જ નહીં, મામેરું કરવા જેટલાં આર્થિક રીતે સધ્ધર પણ બનાવ્યાં. અમે ભગવાન જગન્નાથજીના આભારી છીએ કે, તેમણે અમારું મામેરું કરવાનું સપનું પૂર્ણ કર્યું. સરસપુર ખાતેના મોસાળમાં આજે ભજનમંડળીઓ અને મહિલાઓ-બહેનોએ મંજિરા-કરતાલના સહારે જોરદાર ભજન-કિર્તન કરી ભગવાન જગન્નાથજીના ભકિતરસમાં તરબોળ બની મામેરાના પ્રસંગમાં જમાવટ કરી હતી.

(8:28 pm IST)