બોરસદ તાલુકાના વડેલી,ખાનપુર અને વીરસદમાં તસ્કરોએ નકુચા તોડી 1.80 લાખની મતાની ઉઠાંતરી કરી
બોરસદ: તાલુકાના વડેલી, ખાનપુર અને વીરસદમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલી નકુચા તોડ ચોર ગેંગ દ્વારા બે દૂધ મંડળી તેમ બે મકાનોને નિશાન બનાવીને ૧.૮૦ લાખ ઉપરાંતની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે ગુનાઓ દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડેલી ગામે આવેલી દુધ મંડળીમાં ગઈકાલે ત્રાટકેલા તસ્કરોએ લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કરીને ડ્રોવરમાં મુકેલા સ્થાનિક દૂધ વેચાણના ૪૦૬૦ની રોકડ રકમ ચોરી લીઘી હતી. ત્યાંથી તસ્કરો ખાનપુર ગામે આવેલી દૂધ મંડળીમાં ત્રાટક્યા હતા અને લોખંડના દરવાજાનો નકુચો તોડીને ઓફિસના કબાટનો નકુચો કોઈ વજનદાર હથિયારથી વાળી દઈને કબાટમાંથી રોકડા ૧૫ હજાર ચોરી લીઘા હતા.
તસ્કરોએ ત્યાંથી વીરસદ ગામની પરિતાપાર્ક સોસાયટીમાં આવેલા બે બંધ મકાનોને નિશાન બનાવી હતી. જેમાં પરમ પ્રોસેસ નામની તમાકુની ઓફિસમાંથી તમાકુના વેચાણના ૧.૬૦ લાખ રોકડા ચોરી લીઘા હતા. તસ્કરોએ બાજુમાં રહેતા મગનભાઈ પુનમભાઈ રાઠોડ કે જેઓ મરણ પ્રસંગે પોતાના વતન ગયા હતા તેમના મકાનના તાળા તોડીને પણ ચોરી કરી હતી. આ અંગે બોરસદ રૂરલ અને વીરસદ પોલીસે ગુનાઓ દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.