ગુજરાત
News of Thursday, 14th June 2018

IT દ્વારા ૮૦૦ કંપની સામે કાર્યવાહી શરૂ

કર્મચારીઓનો TDS કાપી સરકારી તિજોરીમાં જમા ન કરાવનારની ખેર નથીઃ ટીડીએસ ચોર કંપનીઓ સામે તવાઇ : કસૂરવાર કોઇને છોડીશું નહીં : ચીફ કમિશનર

અમદાવાદ તા. ૧૪ : કર્મચારીના પગારમાંથી ટેકસ ડિડકટેડ એટ સોર્સ(TDS) કાપી લઇને સરકારી તિજોરીમાં જમા ન કરાવનાર ૮૦૦ પેઢીઓ- કંપનીઓ સામે આયકર વિભાગે પ્રોસિકયૂશન દાખલ કરી દેતાં TDS ચોર કંપનીઓના સંચાલકો દોડતા થઇ ગયા છે. વર્ષોથી TDS ડિફોલ્ટરો આયકર વિભાગની નોટિસને ગંભીરતાથી લેતા ન હોવાથી તેમની સામે કડક હાથે પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત ઇન્કમ ટેકસ પ્રિન્સિપલ ચીફ કમિશનર એ.કે. જયસ્વાલે જણાવ્યું હતું કે જે કંપની કે પેઢીના સંચાલકો કર્મચારીના પગારમાંથી કાપેલો TDS સરકારી તિજોરીમાં સમયસર જમા નહીં કરાવે તેમને છોડવામાં આવશે નહીં.

ગુજરાત આયકર વિભાગને દિલ્હીમાંથી ગત વર્ષે રૂ. ૪૭,૪૩૮નો ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો. જે લગભગ પુરો થયો હતો. જોકે ટાર્ગેટ પુરો કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા રાજયભરમાં મોટા કરચોરોને ત્યાં દરોડા પાડવા પડ્યા હતા. સાથે સાથે ઓપરેશન કલીન મની અને બેનામી પ્રોપર્ટી માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં પણ ઘણું કાળું નાણું બહાર આવ્યું હતું. ડિપાર્ટમેન્ટને સોંપેલા ટાર્ગેટમાં રૂ. ૧૭,૭પ૦ કરોડ તો TDSના મળ્યા હતા.

જોકે, ગુજરાત સહિત દેશભરમાં પગારદાર લોકોના પગારમાંથી પેઢીઓ અને કંપનીઓ TDS કાપી લેતી હોય છે. હવે જે TDS પર તેમનો કોઇ જ હક નથી તેમ છતાં તેઓ આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવતા નથી. આ પ્રેકિટસને અટકાવવા માટે આયકર વિભાગ દ્વારા ઘણા સમયથી કવાયત હાથ ધરવામાં આવી છે. TDS નહીં જમા કરાવતી કંપનીઓ પર સર્ચ પણ કરાયા હતા. તેમને નોટિસો પણ ફટકારાઇ હતી. જોકે, આ પ્રક્રિયાની કોઇ જ અસર ન થતાં હવે આયકર વિભાગે TDS ચોરો સામે પ્રોસિકયૂશન દાખલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ડિપાર્ટમન્ટ દ્વારા ૮૦૦ પ્રોસિકયૂશન દાખલ કરવામાં આવ્યા છે.(૨૧.૫)

ગત વર્ષે TDSનો રૂ. ૧૭,૭૫૦  કરોડના ટાર્ગેટ પૂરો થયો હતો

ગત વર્ષે દિલ્હી દરબારમાંથી ગુજરાત ઇન્કમ ટેકસને સોંપાયેલા કુલ ટાર્ગેટમાં રૂ. ૧૭,૭પ૦ કરોડનો ટાર્ગેટ ટીડીએસનો હતો. જે ટાર્ગેટ પુરો કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા એડીચોટીનું જોર લગાવ્યું હતું. TDS કમિશનરે ખાસ ટીમો બનાવીને સમયસર TDS સરકારી તિજોરીમાં જમા નહીં કરાવતી પેઢીઓ અને કંપનીઓ પર સર્ચની કામગીરી શરૂ કરાવી દીધી હતી જેમાં ઘણી પેઢીઓ દ્વારા કમ્પાઉન્ડીંગની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. જોકે ચાલુ વર્ષે આયકર વિભાગ TDS સરકારી તિજોરીમાં જમા નહીં કરાવનાર પેઢીને પાઠ ભણાવવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

TDSનો મુદ્દે ITમાં ફરિયાદ કરી શકશેઃ જૈનિક વકીલ

ઘણા કિસ્સાઓમાં જયારે કર્મચારી TDSના કપાયેલા રૂપિયા માટે કલેઇમ કરે છે. ત્યારે તેના માલિકે આ રૂપિયા સરકારી તિજોરીમાં જમા ન કરાવ્યા હોવાથી તેને મળતા નથી. આવા કિસ્સાઓમાં હવે કર્મચારીઓએ ડરવાની કે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. કર્મચારી આ મુદ્દે સીધો ઇન્કમ ટેકસ વિભાગમાં પોતાના માલિક વિરુદ્ઘ ફરિયાદ કરી શકશે. જો આવી ફરિયાદ જે પણ પેઢી કે કંપનીના માલિક સામે થશે તેની સામે ચોક્કસ આયકર વિભાગ કડક હાથે પગલાં લેશે.

(10:06 am IST)