ગુજરાત
News of Thursday, 14th June 2018

વડોદરાના નવાયાર્ડ ખાટકીવાડમાં દરોડો : 700 કિલો માંસ ઝડપાયું : છ દુકાનો સીલ : ગૌમાંસની આશંકાએ સેમ્પલ એફએસએલમાં મોકલાયા

વડોદરાના નવાયાર્ડ ખાટકીવાડમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા હતા. જેમાં કથિત ગૌવંશ મિશ્રીત 700 કિલો મુંગા પશુઓનું માંસ ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત ભેંસ અને પાડા મળી કુલ 17 જેટલા પશુઓને પણ બચાવી લેવાયા હતા. ગૌમાંસની આશંકાને પગલે સેમ્પલ  તપાસ માટે માંસને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યુ છે.
વડોદરામાં કાર્યરત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની સંચાલિકા નેહા પટેલને નવાયાર્ડ ખાટકીવાડમાં મોટા પ્રમાણમાં ગૌવંશ તેમજ અન્ય મુંગા પશુઓની હત્યા કરીને માંસ વેચાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના આધારે તેણે સંસ્થાના કાર્યકરો પ્રકાશ શેઠ, અંકુર દોશી, વામન ભરવાડ, લાલા ભરવાડ તેમજ ફતેગંજ પોલીસની મદદ લઇ રેડ કરી હતી. બીજી તરફ વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગે પશુઓની કતલ કરી માંસનો વેપાર કરતી 6 દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે.

(8:16 pm IST)