ગુજરાત
News of Wednesday, 13th June 2018

જીરૂના ભેળસેળ : શંકાસ્પદ માલ જપ્ત કરીને ઉંડી તપાસ

૮૦ લાખથી વધુનો શંકાસ્પદ માલ જપ્ત કરાયોઃ બ્રાહ્મણવાડા-ઊંઝા ખાતે જીરૂમાં ભેળસેળ બદલ પાલડિયા કોર્પોરેશનમાંથી શંકાસ્પદ માલ કબજે : નમૂનામાં તપાસ

અમદાવાદ,તા.૧૩: ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચજી કોશીયાની યાદીમાં જણાવ્યા મુજબ તા. ૬ જુન ૨૦૧૮ના રોજ તંત્રને મળેલી માહિતી અનુસાર ઉંઝા તાલુકાના  બ્રાહ્મણવાડામાં જીરૂમાં ભેળસેળ કરવા બદલ પાલડીયા કોર્પોરેશનમાંથી ૮૦,૦૮,૦૦૦થી વધુ કિંમતનો શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ ભેળસેળિયા જીરૂમાંથી નમૂના લઈને ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. વધુ માહિતી આપતા ફ્રુડ કમિશનરે કહ્યું હતું કે, મળેલી માહિતી મુજબ વાહન નં.જીજે-૧૨-બીટી-૧૯૧૦ તથા જીજે-૧૨-બીટી-૦૫૬૮ના મોટા કન્ટેઈનરમાં ભેળસેળીયું જીરૂ એક્ષપોર્ટ કરવા માટે મુંદ્રા પોર્ટ તરફ જઈ રહ્યું છે અને હાલ તે કન્ટેઈનર પાટણ જિલ્લામાં છે. આથી ડેઝીગ્નેટેડ ઓફિસર પાટણની ટીમ તે સ્થળે પહોંચીને જરૂરી તપાસ કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, કન્ટેઈનરમાં રહેલો માલ મે. પાલડીયા કોર્પોરેશન, બ્રાહ્મણવાડા તા. ઉંઝાના માલિક ભરતભાઈ જગદીશભાઈ પટેલની માલિકીનો છે અને તેઓ આ માલ ઈજીપ્ત દેશમાં એક્ષપોર્ટ કરવા માટે મોકલી રહ્યા છે. ફ્રુડ સેફટી ઓફિસરો દ્વારા જીરૂ ભરેલી બેગો ખોલાવીને જોતા પ્રથમ દ્રષ્ટિએ જ તે માલમાં મોટા પાયે ભેળસેળ કરેલ હોવાનું જણાતા લોકલ ક્રાઈમ પોલીસની મદદથી બંને કન્ટેઇનરને ભરતભાઈ જગદીશભાઈ પટેલની માલિકીના ગોડાઉન મે. પાલડીયા કોર્પોરેશન બ્રાહ્મણવાડા તા. ઉંઝા-સિદ્ધપુર હાઈવે ખાતે લાવવામાં આવ્યા હતા. મહેસાણાના ડેઝીગ્નેટેડ ઓફિસર એસ કે પ્રજાપતિ તથા પાટણના એસબી પટેલ દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ છે જેના પરિણામે ઉંઝાના ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપેલ છે તેમ કમિશનર ઓફ ફ્રુડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(9:35 pm IST)