બાળકોને પ્રવેશ અપાવવા આગેવાનોને સૂચન કરાયું
વિચરતી, વિમુક્ત જાતિ બાળકો
અમદાવાદ,તા.૧૩ : રાજ્ય સરકાર અતિ પછાત એવી વિચરતી-વિમુક્ત જાતિઓમાં શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ આવે તે માટે શિક્ષણ આપવા કટિબદ્ધ છે. સમાજના તમામ નબળા વર્ગોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારના શિક્ષણ અંગેના ઉદેશને સાકાર કરવા તેમજ વિચરતી-વિમુક્ત જાતિના બાળકો પણ શિક્ષણ મેળવી સમાજની અન્ય જાતિના બાળકોની હરોળમાં આવી શકે તે હેતુથી રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ચાલુ સત્રમાં પહેલા ધોરણમાં વધુને વધુ બાળકોને પ્રવેશ અપાવવા વિચરતી-વિમુક્ત જાતિના સક્રિય આગેવાનોને વિચરતી-વિમુક્ત જાતિ વિકાસ નિગમના અધ્યક્ષ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કન્યાઓમાં કેળવણીનું પ્રમાણ વધે તે માટે વધુમાં વધુ કન્યાઓને પ્રવેશ અપાવવા પ્રયત્ન કરવા જરૂરી છે. આ અંગે કરેલ કામગીરીની માહિતી નિગમને મોકલી આપવી જેને ધ્યાને લઈ નિગમ તરફથી આગેવાનોનું યોગ્ય સન્માન કરવામાં આવશે.