ગળતેશ્વરમાં લગ્નના ચાર મહિનામાં પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગળતેશ્વર: તાલુકાના થર્મલ કોલોનીમાં રહેતી પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીને અલવિદા કર્યાના બનાવે ભારે ચર્ચા જગાવી છે, આ પરિણીતાએ લગ્નના ચાર માસમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા સ્થાનિકોમાં તરેહ તરેહની અટકળો થઇ રહી છે.
મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના થર્મલ કોલોનીમાં રહેતા તપનસિંહ વાઘેલાના લગ્ન ચારેક માસ પહેલાં પૂજાબેન નામની યુવતી સાથે થયા હતા. આ લગ્ન જીવનના ટૂંકા સમયગાળામાં પુજાબેન વાઘેલા (ઉંમર - ૨૧ વર્ષ) એ આજે સવારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લટકી જતાં મોત નિપજ્યુ હતું. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પરિણાતાએ કયા કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો તે જાણવા મળેલ નથી. વધુમાં પૂજાબેનનો પતિ તપનસિંહ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બનાવ અંગે હજુ સુધી સેવાલીયા પોલીસમાં કોઇ જાણકારી ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.