મહેમદાવાદ તાલુકાના મુવાડામાં તસ્કરોએ બે મકાનમાંથી 1.97 લાખની મતાની ચોરી કરી
મહેમદાવાદ:તાલુકાના ચારણના મુવાડા સામતપુરામાં બે મકાનોમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂપિયા ૧,૯૭,૦૮૭ ની મતા ચોરી ગયા હતા. આ ચોરીના બનાવને બે માસ થયા બાદ મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના ચારણના મુવાડા સામતપુરામાં કમલેશભાઈ જીતુભાઈ ગઢવી અને તેમના મોટાભાઈ સમરથદાન ગઢવી બંનેના મકાનો અડીને આવેલા છે. ગત તા.૧૯-૪-૧૮ની રાત્રે ગઢવીના પરિવારજનો જમી પરવારી સૂઈ ગયા હતા. આ દરમિયાન રાત્રી સમયે ત્રાટકેલા તસ્કરો કમલેશભાઈ તથા સમરથદાનના મકાનના પાછળના દરવાજામાં હોલ પાડી અંદરની સ્ટોપર ખોલી મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરી ખોલી તેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના રૂપિયા ૧,૯૭,૦૮૭ ની મતા ચોરી ગયા હતા.
આ બનાવ અંગે કમલેશભાઈ જીતુભાઈ ગઢવીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.