ઉંઝામાં વૈશાખી પૂનમની ઉજવણી:150 ટેબ્લો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે: એક લાખ લોકો જોડાશે
કુલ 150 ટેબ્લો સાથેની શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે:યાત્રાનો રૂટ 3 કિલોમીટર લાંબો હશે
મહેસાણાના ઉંઝામા 16 મેના રોજ વૈશાખી પૂનમની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે , આ પ્રસંગે લાખો લોકોની શ્રદ્ધાના પ્રતીક સમા પવિત્ર યાત્રાધામ ઉમિયા ધામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.આ યાત્રા ઉમિયા ધામ ઊંઝાથી સવારે સવા આઠ વાગે નીકળશે. યાત્રામાં કુલ 150 ટેબ્લો રાખવામાં આવ્યા છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરશે. આ યાત્રાનો રૂટ 3 કિલોમીટર લાંબો હશે અને તેમાં આશરે 1 લાખ લોકો જોડાશે.
આ પૂર્વે પણ કોરોના કાળ બાદ પ્રથમ વખત ફેબ્રઆરી માસમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે શિખરની ધ્વજા આરોહણ કરાઈ હતી. ધાર્મિક પરંપરા મુજબ ઢોલ નગારા સાથે મંદિરના પ્રમુખ મંત્રીઓ સહિત હોદ્દેદારોની હાજરમાં ધ્વજા આરોહણ કરવામાં આવી. વસંત પંચમી માતાજીનો મહોત્સવનો દિવસ ગણવામાં આવે છે. જેના પગલે ઊંઝા મંદિરે દર્શન કરવા લોક મહેરામણ ઊમટ્યું હતું.
જ્યારે માતાજીના ઉત્સવમાં કોઈ ખાસ દિવસે મંદિર ભક્તો માટે વધુ સમય મંદિરને ખુલ્લું રાખવામાં આવે છે, ત્યારે પાટીદારોના કુળદેવી માનવામાં આવતા આ ઉમિયા માતાના મંદિરે દર્શન માટે ભક્તો ભાવપૂર્વ શ્રદ્ધા અને આસ્થા સાથે દેશ વિદેશથી આવે છે. દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજન શાળામાં જમવાની સુવિધા ઉપલબ્ધ છે.મંદિર સંસ્થાન દ્વારા સામાજિક અને શૈક્ષણિક પ્રવુતિ કરવામાં આવે છે.